આજકાલ ભારત કરતા વિદેશમાં ખુબજ પૈસા કમાવાના મળે છે તેવી હવા ઉભી કરી કેટલીક ફ્રોડ કંપનીઓ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી યુવકોને ફસાવી પૈસા પડાવી રહી હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહયા છે ત્યારે
જૂનાગઢના યુવક કે જે પૈસા કમાવાની લાલચ આપી મ્યાનમાર બોલાવી 24 દિવસ સુધી ત્રાસ આપી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મ્યાનમારની કંપનીએ યુવકને ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો જો પુરો ન થાય તો ઝાડ પર લટકાવી 5-5 દિવસ ભૂખ્યો રાખી માર મારવામાં આવતો હતો અને પરત ભારત જવા કંપનીએ 7 હજાર ડોલરની માગ કરી હતી. જેથી પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને આ કંપનીના ચુંગાલમાંથી છોડાવ્યો હોવાની વાત સામે આવી છે.
જૂનાગઢના બાબરા ગીર ગામના આહીર કિશનવાળા નામના યુવક સાથે આ ઘટના બની હતી.
ઓનલાઇન એપ્લિકેશન મારફતે નોકરીની ઓફર થતાં તે પરિવારને ખુશ રાખવા અને પૈસા કમાવા કિશન વાળા મ્યાનમાર ગયો હતો. જ્યા તેમને કંપની દ્વારા ઇન્વેસમેન્ટનું કામ કરાવવામાં આવતું હતું. કંપની દ્વારા ગ્રાહકો લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો. તેમજ જે દિવસે કંપનીએ આપેલા ટાર્ગેટ મુજબ ગ્રાહકો ન મળે તે દિવસે યુવકને માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપવામાં આવતું ન હતું.
કિશનવાળાએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા એક મહિનાનો 1000 યું.એસ ડોલર જેટલો પગાર આપવામાં આવશે તેવું કહ્યું હતું, પરંતુ મ્યાનમાર પહોંચતા જ કંપનીએ કહેલી કોઈપણ વાત સાચી ન હોવાની જાણ થઈ હતી. વધુમાં વધુ ગ્રાહકો શોધવા માટે કહેવાતું અને જો ગ્રાહકો ન મળે તો પાઇપથી માર મારવામાં આવતો અને જમવાનું પણ ન અપાતું. કિસન વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેમણે પોતાના ઘરે જવા માટે કહેતા કંપનીએ પરિવાર પાસે પોતાના ઘરે જવું હોય તો 7000 ડોલરની માંગણી કરી હતી.
કિશનવાળાએ પૈસા આપવા તૈયારી બતાવી પોતાના પરિવાર સાથે વાત કરી પણ થોડું મોડું થતા કિશન વાળાને હાથમાં હથકડી પહેરાવી ઝાડ સાથે ઊંધો લટકાવી માર મારવામાં આવતા આખરે સમગ્ર વાસ્તવિકતાની જાણ ભોગ બનનાર યુવક કિશન વાળાએ પોતાના પરિવારને કરતા પરિવારે કંપનીને રૂપિયા મોકલતા કિશન વાળાનો માંડ છુટકારો થયો હતો.
કિશન વાળા સહિતના સાત યુવાનો ચીનની સરહદ પર આવેલા મ્યાનમારના વાસ્ટેટ અને યાંગુંનમાં ફસાયા હતા.
ચીનની સરહદ પર આવેલા આ વિસ્તારમાં ફ્રોડ કંપનીઓ દ્વારા ડ્રગ્સ પણ મોટે પાયે સપ્લાય થાય છે. ભારતના હજુ પણ 200થી વધુ લોકો આ વિસ્તારમાં ફસાયેલા હોવાનું તેણે જણાવ્યું હતું.
આમ,વિદેશની લાલચમાં પડ્યા વગર દેશમાં જે કામ મળે તે કરવું જોઈએ તેવું હવે જેઓને અનુભુવ થયો તેવા યુવાનો જણાવી રહયા છે.