રાજ્યની તમામ વીજ કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ હવેથી રાજ્યના મુખ્યપ્રધાન કે મંત્રી કે ઉચ્ચ અધિકારી સમક્ષ સીધી રજૂઆત કરી શકશે નહીં અને જો કોઈ સીધી રજૂઆત કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે.
આ પરિપત્ર તમામ છ વીજ કંપનીના એમડીને પાઠવી દેવાયો છે મતલબ કે હવે વીજકંપનીમાં કામ કરવું હોયતો કંપનીના વડા કહે તેમ કરવાનું રહેશે.
વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું છે કે સર્વિસ રેગ્યુલેશનની જોગવાઈઓ અને તેને સંલગ્ન સુચનાઓનો વખતો વખત પુનરોચ્ચાર ક૨વા છતાં હજી પણ ઘણાં કર્મચારીઓ તેઓની સેવાકીય બાબતો રજુઆતો – પ્રશ્નો અંગે મુખ્યમંત્રીના કાર્યાલય, અન્ય મંત્રીના કાર્યાલય, અગ્રસચિવની ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગાંધીનગ૨ કચેરીનો સીધો રૂબરૂ સંપર્ક કરે છે જે સર્વીસ રેગ્યુલેશનના ઉલ્લંઘનમાં પરિણમે છે અને તે અંગે ખાતાકીય પગલાં ઉપરાંત વાર્ષિક ખાનગી અહેવાલમાં પણ વિપરિત નોંધ કરવા પાત્ર ઠરે છે.
હવે,ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. અને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓને ફરી એક વાર તાકીદ કરાઈ છે કે, તેઓની સેવાકીય બાબતો અંગે તેઓએ મંત્રીઓ, સરકારના ઉચ્ચ અધિકારી સાથે કોઈ રૂબરૂ મુલાકાત, સીધો પત્ર વ્યવહાર, ઈ- મેઇલ, ટેલીફોનીક મેસેજ કરવો નહીં.
હવેથી કોઈ રજુઆતો, પ્રશ્નો હોય તો જે-તે કર્મચારીઓ અથવા સંબંધિતો દ્વારા સંલગ્ન કંપનીમાં જ સક્ષમ કક્ષાએ ખાતા મારફત ૨જુઆત કરવાની રહેશે.
જો કોઈ સદર સૂચનાઓનું ઉલ્લંઘન કરશે તો જે તે સક્ષમ અધિકારી દ્વારા તેઓની સામે કડક પગલાં લેવામાં આવશે. એમ પરિપત્રમાં જણાવ્યું છે.