ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચાર્જ સાંભળ્યા બાદ હવે વિપક્ષને મજબૂત બનાવવા કામે લાગ્યા છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓને બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે એટલુંજ નહિ પણ સરકારે કરેલી જાહેરાત મુજબ સહાય મળી કે કેમ? તે અંગે રિપોર્ટ કરવા સૂચના આપી છે.
રાજ્યમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિજ્ઞેશ મેવાણીને સોંપાઈ છે.
કચ્છ જિલ્લાની જવાબદારી લલિત કગથરા,જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે.
જામનગર અને દ્વારકા જિલ્લાની જવાબદારી અમરીશ ડેર,ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપાઈ છે.
પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી,ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલિયાને સોંપાઈ છે.
સરકારે કરેલી જાહેરાત કેટલી મદદરૂપ, જાહેરાત મુજબ સહાય મળી કે નહિ એ કોંગ્રેસના આગેવાનો ચકાસશે ત્યારબાદ તે અંગે કલેકટરને આવેદનપત્ર આપશે.
જે ગામમાં વીજળી હજુ પહોંચી નથી એ ગામોમાં પણ કોંગ્રેસના આગેવાનો તપાસ કરશે.
તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચના આપવામાં આવી છે.
આમ,શક્તિસિંહ ફૂલ ફોર્મમાં જણાઈ રહયા છે અને ગુજરાત કોંગ્રેસમાં ચેતના લાવવા બધાને દોડતા કરતા હવે કોંગી છાવણીઓ ધમધમતી થઈ છે.