ધી સાઉથ ગુજરાત કો. ઓપરેટિવ બેંક એસોસિએશન (સ્કોબા) દ્વારા આજે બેંકોના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં બેંકોની બહાર લાંબી કતારો ન લાગે તે માટે બેંકોએ ફોર્મ વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સ્કોબાના પ્રેસિડેન્ટ મુકેશ ગજ્જરે જણાવ્યું હતું કે, બેંકો પોતાની વેબસાઇટ પર ફોર્મ રજૂ કરશે. ગ્રાહકો ત્યાંથી વિનામુલ્યે ફોર્મ ડાઉનલોર્ડ કરી તમામ જરૂરી વિગતો અને પુરાવાઓ ભરીને બેંકોમાં માત્ર જમા કરાવવા આવશે. આજે યોજાયેલી કોન્ફરન્સમાં ગુજરાત કો. ઓપરેટીવ બેંક ફેડરેશનના ડિરેકટર આર. એન. જોષી, સીઇઓ જે. વી. શાહ, નાફકબના પ્રેસિડેન્ટ જયોતીન્દ્ર મહેતા પણ જોડાયા હતા.
સ્કોબા ચેરમેન મુકેશ ગજ્જરે કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની 45 જેટલી કો.ઓપરેટિવ બેંક્સના જનરલ મેનેજર્સ અને અન્ય પદાધિકારીઓ સાથે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નોકરિયાત અને ઘરગથ્થું ઉદ્યોગ કરનાર માટે રૂ.1 લાખની આત્મનિર્ભર લોન જાહેર કરી છે. જેના માટે તા.21મી મેના રોજ ફોર્મ વિતરણની તારીખ જાહેર કરાઇ હતી. જોકે, ગાઈડલાઈનમાં ફેરફારના કારણે ઘણી બેંકો દ્વારા ફોર્મ છાપવામાં આવ્યા ન હતા. તથા 1 જૂનથી ફોર્મ વિતરણની કામગીરી ફરી શરૂ થવાની હતી. પરંતુ આ યોજનામાં ધિરાણ મેળવવા માંગતા લોકોની સંખ્યા વધુ હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાય તેવો ભય છે. તેને લીધે બેંકોએ ઘરબેઠા ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. કોન્ફરન્સમાં બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમ વ્યાસ, સ્કોબાના માજી પ્રમુખ જયવદન બોડાવાલા, ઉપપ્રમુખ ડો. જયના ભક્ત, જો. સેક્રેટરી ગોપાલ ગોહિલ, કોષાધ્યક્ષ દેવાંગ ચોકસી, સુરત પીપલ્સ બેંકના જીએમ ડો. જતીન નાયક અને સ્કોબાના આસી. મેનેજર બીજલ પારેખ હાજર રહ્યા હતા.
બેંકોને સીડી રેશ્યો જાળવીને ધિરાણ કરવા સૂચન કરવામાં આવ્યું
વીડિયો કોન્ફરન્સમાં હાજર સહકારી બેંકના અગ્રણીઓએ આરબીઆઇના ઓડિટને ધ્યાને રાખી બેંકોને સીડી રેશ્યો મેઇન્ટેન કરી ધિરાણ આપવા સૂચન કરવામાં આવ્યું છે. કેટલીક બેંકોએ ઓનલાઇન ફોર્મ ભરી શકાય તેવી એપ્લિકેશન પણ મુકવાની તૈયારી દર્શાવી છે કે જેથી ગ્રાહકે બેંકમાં ફોર્મ જમા કરાવવા માટે પણ ધસારો કરવો ન પડે.
કેન્દ્રની ક્રેડિટ ગેરન્ટી ફંડ સ્કીમમાં સહકારી બેંકોનો સમાવેશ કરાયો
નાફકબના પ્રેસિડેન્ટ જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ક્રેડિટ ગેરન્ટી ફંડ સ્કીમમાં સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ પીએસયુ બેંક દ્વારા જ આપવામાં આવતો હતો. નાફકબની રજૂઆતને પગલે શિડ્યુલ કો.ઓપરેટીવ બેંકો એટલે કે જેમની ડિપોઝીટ રૂ.750 કરોડથી વધુની હોઈ તેમને પરવાનગી મળી છે. સુરતમાં પણ આ પ્રકારની મંજૂરી એસપીબીને મળી છે.