ભૂજ, 25 એપ્રિલ 2020
2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે.
ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે.
સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે.
વ્હીલચેર, ઘોડી, દવા, સાધનો મળતાં હોય છે. બહાર દવા મળતી નથી. ઘણા દર્દીને પીઠ પાછળનો ભાગ ખરાબ હોય, ચાંદાં પડે.
વિકલાંગો માટે સેવા કરતા ભોજાય ટ્રસ્ટ, બિદડા સર્વોદય ટ્રસ્ટ, નવજીવન વિકલાંગ સેવાશ્રમ દ્વારા રાહત આપવામાં આવતી રહી છે. આજના સમયે આ દર્દી માટે તંત્ર કંઇક ગોઠવે એવી માંગ છે. આ દર્દી પરિવારને કિટ, રોકડ સહાય મળી નથી.
તમામને ભુજની જનરલ હોસ્પિટલ દ્વારા દર માસે જરૂરી દવા, મલમ, કપાસ, પાટા, ડાયપર, કેનિસ્ટર વગેરે અપાતું હોય છે. 19 ડીસેમ્બર 2019 પછી આવા દર્દીને સહાય, સલાહ, સારવાર બંધ છે.
હંસાબેન મણકા તૂટી જતાં 2001થી પથારીવસ છે. એની સારસંભાળ રાખતા તેના પતિ પુંજાભાઇ વાઘાભાઇ ફફલ રહે ભરપાળિયા ભચાઉવાળાને ડિસેમ્બર પછી કોઇ જ સવલત ન મળતાં ખૂબ જ મુશ્કેલી છે. તેમના પત્નીને સંડાસ જવા ઉપાડીને લઇ જવી પડે છે. પેશાબ માટે કેનિસ્ટર કોથળી લગાવવી પડે.
આવા તો અનેક પરિવારોની પરેશાની છે. ભૂકંપ વખતે કચ્છમાં 500 જેટલા આવા ખોડખાંપણવાળા દર્દીઓ હતા, જે પૈકી ઘણા સાજા થયા, કેટલાક મરણ પામ્યા, છેલ્લે 160 દર્દી હતા. હવે 90 જેટલા કાયમી દર્દી છે. તેઓ ભૂકંપ પછી હવે કોરોના તાળાબંધીથી એક મહિનાથી પરેશાન છે.