કોરોના ની હાડમારી વચ્ચે દક્ષિણ પૂર્વ નજીક અરબી સમુદ્રમાં હાલમાં લો પ્રેશર સક્રિય હોઈ તા.૧લી જૂનના રોજ ડિપ્રેશનમાં પરિર્વિતિત થઈ ઉત્તર દિશા તરફ આગળ વધશે. આ ડિપ્રેશન તા.૩મી જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે વલસાડ અને નારગોલ વચ્ચે ઉદવાડા ખાતે ટકરાય તેવી શક્યતાઓ ને લઈ તંત્ર સાબધું બન્યું છે અને મુખ્યમંત્રી એ વાવાઝોડા સામે તકેદારીના પગલા ભરવા બેઠક બોલાવી છે.
વાવાઝોડા ની અસર હેઠળ આગામી ૪થી અને ૫મી જૂનના રોજ અમદાવાદ, સુરત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, તા.૪ જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ અને દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય તા.૫મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સહિત અમદાવાદ તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે જરૂરી તૈયારીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે સવારે ૧૧ વાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સહિત સંબંધિત વિભાગોની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના તમામ જિલ્લાતંત્રોને પગલે એલર્ટ કરી દેવાયા છે, પરંતુ સોમવારે દક્ષિણ ગુજરાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. કાંઠાના વિસ્તારોમાં પણ સંભવિત અસર પહોંચે તેવા સ્થળોની મુલાકાત લેવા તેમજ લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો ક્યાં કરવું તેનું આયોજન કરવા પણ સંબંધિત તંત્રોને જણાવી દેવાયું છે.
Saturday, May 18