ગુજરાતમાં કોંગ્રેસે હવે ભાજપ સામે પોતાનો પક્ષ મજબૂત કરવા તૈયારીઓ શરૂ કરી છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિ સિંહ ગોહિલની નિમણૂક કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણૂક કરી પક્ષને મજબૂત કરી ચૂંટણી પહેલાની રણનીતિ ગોઠવવાનું શરૂ કર્યું છે.
જોકે,લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત રીતે ચૂંટણી લડશે તેવુ કોઈ નિવેદન કોંગ્રેસ તરફથી હજુ સામે આવ્યું નથી પરિણામે ઈશુદાન ગઢવી દ્વારા થયેલા નિવેદન મામલે કોંગ્રેસ તરફથી કોઇ ફોડ પાડવામાં નહિ આવતા હવે બન્ને વચ્ચેના જોડાણની વાતો માત્ર અફવા બની રહી છે.
આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નિવેદન અંગે કોંગ્રેસ બાદ પ્રવક્તા ડો. મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે તેઓના મતે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે અને મીડિયામાં બદનામી થઈ રહી છે ત્યારે ભાજપે જ લોકોનું ધ્યાન બીજે દોરવા આમ આદમી પાર્ટી તરફથી આ પ્રકારની એકતરફી જાહેરાત કરાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ દોશી એ કહ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવા માટે ઈસુદાન ગઢવી કોઈ અધિકૃત વ્યક્તિ નથી.
હાલમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓ કે આપ સહિત અન્ય કોઈપણ પક્ષના નેતાઓ વચ્ચે ચૂંટણી સમજૂતિ માટે કોઈ સંવાદ થયો નથી કે કોઈ બેઠક યોજાઈ નથી.
ગુજરાતમાં લોકસભાની આગામી ચૂંટણી માટે આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તેનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે લેવાશે. આપના પ્રદેશ પ્રમુખનું નિવેદન કસમયનું છે. લોકસભાની ચૂંટણી આડે હજુ ખાસ્સો સમય બાકી છે. વળી, રાષ્ટ્રીય સ્તરે INDIAના નેતા હેઠળ અનેક રાજકીય પક્ષો ગઠબંધન માટેની કવાયત કરી રહ્યા છે. છતાં કઈ પાર્ટી કોની સાથે ક્યા રાજ્યમાં કેટલી બેઠકો માટે સમજૂતિ કરશે તેવી કોઈ ફોર્મ્યુલા નક્કી થઈ નથી. આ સંજોગોમાં આવી એકતરફી જાહેરાત કરવી યોગ્ય ગણાય નહીં.
આમ,કોંગ્રેસ તરફથી આ મુજબ પ્રતિક્રિયા સામે આવતા આપ તરફથી ઈશુદાન ગઢવી દ્વારા થયેલા જોડાણની વાતો માત્ર એક તરફની જાહેરાત બની ને રહી ગઈ છે.