ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ વખતે ૪.૩૩ કરોડમાંથી ૬૮૭ મતદાતાનો ‘અન્ય’ વિભાગ એટલે કે થર્ડ જેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે થર્ડ જેન્ડર વિભાગમાં આવતા મતદારોનું પ્રમાણ માત્ર ૧૭૬ હતું. આ વખતે તેમાં અંદાજે પાંચ ગણો વધારો નોંધાયો છે તેમ કહી શકાય.
આ વખતે અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૧૦૧ મતદાતા થર્ડ જેન્ડરમાં સામેલ છે બીજી તરફ કચ્છ, ડાંગ, વલસાડ, ગીરસોમનાથ એવા જિલ્લા છે કે જ્યાં થર્ડ જેન્ડર વિભાગમાં કોઇ મતદાતા નથી
ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭૬ નાગરિકોએ તેમને ‘અન્ય’માં સામેલ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં અમદાવાદમાંથી ૭નો સમાવેશ થતો હતો. આ વખતે અમદાવાદમાં આંક વધીને ૧૦૧ થયો છે. વડોદરામાં થર્ડ જેન્ડર કેટગેરીમાં આવતા હોય તેવા ૭૭ મતદાતા છે. જયારે સુરતમાં-૭૩, આણંદમાં-૬૪, ખેડામાં- ૫૬, નવસારીમાં -૪૧, ભાવનગરમાં- ૨૯, મહેસાણામાં-૨૯, ગાંધીનગરમાં-૨૫, ભરૃચમાં -૨૪, અરવલ્લીમાં -૨૩, સાબરકાંઠામાં -૨૨, રાજકોટમાં- ૧૫, બનાસકાંઠામા- ૧૩, સુરેન્દ્રનગરમાં-૧૨, અમરેલીમાં-૧૨, જૂનાગઢમાં- ૧૦, દ્વારકામાં-૧૦ મતદાતા થર્ડ જેન્ડરમાં સામેલ છે.