ગુજરાતમાં ગત રોજ સર્વાધિક 1282 કોરોના કેસો નોંધાયા છે એવામાં પ્રથમ વાર મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત એટીએસ (Gujarat ATS)નાં 11 જેટલા પોલીસકર્મીઓ પણ ગત રોજ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તાજેતરમાં જ ભાજપ નેતા ગોરધન ઝડફિયા (Gordhan Zadafia)ની હત્યા માટે આવેલા શાર્પ શૂટર ઈરફાન (Sharp shooter Irfan)ની ધરપકડ કરવા ગયેલી એટીએસ ટીમના અધિકારીઓ કોરોનામાં સપડાયા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના રિલીફ રોડ પરની એક હોટલમાંથી એટીએસની ટીમે શાર્પ શૂટર ઈરફાન ઇલિયાસ ઉર્ફે કાલીયા શેખની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેના મેડિકલ રિપોર્ટ (Medical report) કરાવવાતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. જેના પગલે ગુજરાત એટીએસના 11 પોલીસકર્મીઓને પણ કોરોનાએ પોતાની ચપેટમાં લીધો છે.
જવાનોમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટ, ત્રણ કોન્સ્ટેબલ અને એક કમાન્ડો તથા બે સીઆરપીએફ અને બે ક્લાર્કનો સમાવેશ થયો છે. આ તમામ પોલીસ કર્મીઓને હાલ ક્વારન્ટાઈન (Quarantine) કરી દેવાયા છે. આ એટલા માટે પણ મોટા સમાચાર છે. પોલીસકર્મીઓને કોરોના સંક્રમણનાં મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસો 7 લાખને વટાવી ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓ પણ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. 25 જુલાઈએ મહારાષ્ટ્રમાં કુલ 122 પોલીસ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ નિકળ્યો હતો. તે પહેલા 21 ઓગસ્ટે રાજ્યમાં કુલ 300 જેટલા પોલીસકર્મીઓને કોરોના થયા હોવાના સમાચાર મળ્યા હતાં. ત્યાર બાદ રાજ્યનાં પોલીસ વિભાગે 50થી વધુ વયનાં પોલીસનાં જવાનોને સ્વૈચ્છિક રજા પર જવાનું કહેવામાં આવ્યુ હતુ.
જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 93883 કોરોના કેસો નોંધાયા છે જ્યારે 75662 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. તે સિવાય રાજ્યમાં અત્યાર સુધી કુલ 2991 દર્દીઓને કોરોના સંક્રમણનાં લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 15230 છે જ્યારે 89 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 1282 કેસો સામે આવ્યા જ્યારે 1111 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી કુલ 13 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનો દર 80.59 ટકા છે શનિવારે રાજ્યમાં કુલ 74234 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા હતાં. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 21 લાખ 95 હજાર 985 ટેસ્ટ કરાયા છે.