ગાંધીનગર- ગુજરાતમાં સત્તાથી દૂર ફેંકાયેલી કોંગ્રેસને સત્તાનો નશો પચતો નથી અને વિપક્ષમાં નેતાઓને ફાવતું નથી. ભાજપ અને મોદીના શાસનથી કંટાળેલી દેશની જનતાએ વિવિધ રાજ્યોમાં પરિવર્તનનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસના સત્તા ભૂખ્યાં નેતાઓ વચ્ચે યાદવાસ્થળી ફાટી નિકળી છે જેનો ચેપ ગુજરાત કોંગ્રેસને પણ લાગી શકે તેમ છે.
કોંગ્રેસ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યાદવાસ્થળી છે. મધ્યપ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંઘિયાએ હાલના મુખ્યમંત્રી કમલનાથ સામે બળવો પોકાર્યો છે. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત ને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ નડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ત્રિભેટે આવીને ઉભેલી છે. કોંગ્રેસના મંત્રી નહીં બનેલા ધારાસભ્યોને ખરીદવાના રસ્તા ભાજપના નેતાઓએ શોધી કાઢ્યા છે. કોંગ્રેસ પાસે માંડ માંડ કર્ણાટકની સરકાર આવી હતી પરંતુ કોંગ્રેસના નેતાઓએ ભાજપની ચૂંગાલમાં ફસાઇને મિલીજૂલી સરકાર તોડી નાંખી, પરિણામ એ આવ્યું છે સત્તા વિના તરફડીયા મારતા ભાજપના નેતાઓને ઓછી બેઠકોએ મુખ્યમંત્રી મળી ચૂક્યાં છે.
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ખાસ કરીને 25 વર્ષથી સંપૂર્ણ સત્તામાં નથી. કોંગ્રેસની જૂનવાણી પદ્ધતિથી ગુજરાતના મતદારો આજે પણ કોંગ્રેસથી નારાજ છે. રાજ્યની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસને શાસન કરવાની તક આપી હતી પરંતુ ધીમે ધીમે કોંગ્રેસના નેતાઓમાં સત્તાનો નશો ચઢી જતાં એક પછી એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોંગ્રેસે ગુમાવી છે.
આવી સ્થિતિ વિધાનસભાની ચૂંટણીમાં પણ થઇ છે. કોંગ્રેસના ઉમેદવારોને કોંગ્રેસના બળવાખોરો તેમજ અસંતુષ્ટ નેતાઓએ હરાવી છે. રાજ્યમાં છેલ્લે 2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવનાર ભાજપ કે નરેન્દ્ર મોદી નથી પરંતુ ખુદ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ પાર્ટીના ઉમેદવારોને હરાવ્યા છે. 2017માં તો ગુજરાતના મતદારોએ ભાજપને સબક શિખવાડવા માત્ર 99 બેઠકો આપી હતી અને વિપક્ષને સત્તામાં આવવા માટે 12 બેઠકોનું છેટું હતું. ભાજપ માટે આ ટર્નિંગ પોઇન્ટ હતો. ખુદ જનતાએ ભાજપને રૂકજાવનો સંદેશો આપી દીધો હતો.
ગુજરાતમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઇ આવેલા ધારાસભ્યો સામ, દામ, દંડ અને ભેદમાં ભેરવાઇને પાર્ટી સાથે દગો કરીને ભાજપમાં જોડાઇ જતાં અચકાતા નથી. ભાજપમાં પણ ભેલાણ થયું છે. ભાજપના ધારાસભ્યો તો બળવો કરવાના નથી તેથી ભાજપના હાઇકમાન્ડને કોંગ્રેસના ધારાસભ્યો નખશીખ પ્રામાણિક લાગી રહ્યાં છે અને ભાજપમાં તેમને ભેળવી રહ્યાં છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ, તેમાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં બેફામ ગાળો આપતાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપને એટલી હદે સારા લાગી રહ્યાં છે કે તેમને કલાકોમાં જ કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેમણે વિધાનસભાની ચૂંટણી સમયે મોદી અને અમિત શાહને ગાળો આપવા સિવાય કોઇ પ્રચાર કર્યો નથી તેઓ આજે ભાજપની વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી બની ચૂક્યાં છે. રાજ્યમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસની મિલીજૂલી સરકાર હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં પણ યાદવાસ્થળી આકાર લઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષની માત્રા વધતી જાય છે. ગમે ત્યારે કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવી શકે છે.
સિનિયર નેતાઓ પાર્ટીને જરૂર હોય ત્યારે ધારાસભ્યોની બેઠક બોલાવે છે. બાકીના દિવસોમાં ધારાસભ્યોને કોઇ યાદ કરતું નથી. વિધાનસભાના સત્રમાં સ્ટેટેજી બનાવવા કે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા ધારાસભ્યોને પગે પડવામાં આવે છે પરંતુ બાકીના દિવસોમાં ધારાસભ્યો ક્યાં છે, તેમને શું તકલીફ છે, પાર્ટી પાસેથી તેમની શું અપેક્ષા છે તેના સવાલ-જવાબ થતાં નથી. મધ્યપ્રદેશનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે ટૂંકસમયમાં ગુજરાત કોંગ્રેસમાં પણ બળવાખોરી આકાર લે તો નવાઇ પામવા જેવું નથી. આ લડાઇ માત્ર ને માત્ર વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ માટે હોઇ શકે છે, કારણ કે ધારાસભ્યોને વિપક્ષી નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગમતા નથી.