Ahemdabad: તિરુપતિના લાડુમાં અમૂલ ઘીના ઉપયોગની અફવા ફેલાવવાના આરોપમાં સાત સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ FIR
Ahemdabad: અમદાવાદ પોલીસે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ના સાત યુઝર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમના પર એવી અફવા ફેલાવવાનો આરોપ છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતું નબળી ગુણવત્તાનું ઘી ‘અમૂલ’ બ્રાન્ડનું હતું. આ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે અગાઉની રાજ્ય સરકાર દરમિયાન તિરુપતિ વેંકટેશ્વર સ્વામી મંદિરના લાડુ બનાવવામાં પશુઓની ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમના દાવા બાદ રાજકીય વિવાદ વધી ગયો છે.
Ahemdabad: અમદાવાદ સ્થિત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ નકારી કાઢ્યું છે કે તેનું ઘી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને સપ્લાય કરવામાં આવ્યું છે. GCMMF અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે અને TTD મંદિરોનું સંચાલન કરે છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે એફઆઈઆર મુજબ સાત યૂઝર્સ દ્વારા જીસીએમએમએફની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી આ માહિતી ફેલાવવામાં આવી હતી. આ યુઝર્સે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે બનતા લાડુમાં અમૂલ બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી સહકારી સંસ્થાની છબી ખરાબ થઈ હતી.
આ FIR અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336 (4) અને 196 (1) (A) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જે કોઈપણ પક્ષની છબીને નુકસાન પહોંચાડવા અને ધર્મ, જાતિ વગેરેના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સંબંધિત છે. પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની કલમો પણ લગાવી છે.
GCMMF એ શુક્રવારે રાત્રે તેના amul.coop હેન્ડલ પર સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે તેણે ક્યારેય TTD ને અમૂલ ઘી સપ્લાય કર્યું નથી. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે કેટલાક લોકોને ખોટી માહિતી આપવામાં આવી છે કે અમૂલે તિરુપતિ મંદિરમાં વપરાતું નબળી ગુણવત્તાનું ઘી સપ્લાય કર્યું છે. તેમણે કહ્યું, અમારી વિરુદ્ધ અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
જયેન મહેતાએ કહ્યું કે આ અફવા 36 લાખ ડેરી ખેડૂત પરિવારો માટે ગંભીર ચિંતાનો વિષય છે
જેઓ તેમની આજીવિકા માટે અમૂલ પર નિર્ભર છે. તેમણે સ્પષ્ટતા કરી કે અમે ક્યારેય મંદિરમાં ઘી પહોંચાડ્યું નથી. અમે આ અફવાને રોકવા માટે FIR નોંધાવી છે.