અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આજથી એટલે કે મંગળવારથી માંસાહારી ખોરાક વેચતા રસ્તાની બાજુના સ્ટોલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટીએ જણાવ્યું હતું કે શાળાઓ, કોલેજો અને ધાર્મિક સ્થળોથી 100 મીટરની ત્રિજ્યામાં જાહેર રસ્તાઓ પર માંસાહારી ખોરાક વેચતા સ્ટોલને મંજૂરી આપવામાં આવશે નહીં.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ આ વિશે જણાવ્યું કે, આ પ્રતિબંધ આવતીકાલ એટલે કે મંગળવારથી લાગુ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ટોલ અંગે શહેરના લોકો તરફથી ઘણી ફરિયાદો આવી હતી. આ તમામ ફરિયાદોને ધ્યાનમાં રાખીને આયોજન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ખાવા માટે ફ્રી છેઃ CM પટેલ
આ સાથે જ આ પ્રતિબંધને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે લોકો જે ઈચ્છે તે ખાવા માટે સ્વતંત્ર છે. આણંદમાં આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘શાકાહારી કે માંસાહારી હોવાનો પ્રશ્ન નથી. લોકો જે ઈચ્છે તે ખાવા માટે સ્વતંત્ર છે. પરંતુ સ્ટોલ પર વેચવામાં આવતા ખાદ્યપદાર્થો નુકસાનકારક ન હોવા જોઈએ અને વાહનવ્યવહાર ખોરવાવો જોઈએ નહીં.
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે જે સ્ટોલ નબળી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો વેચતા હોય અથવા ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઉભો કરતા હોય તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું, કેટલાક લોકો શાકાહારી ખાય છે અને કેટલાક માંસાહારી, ભાજપ સરકારને તેનાથી કોઈ વાંધો નથી. અમારી ચિંતા ફક્ત આ સ્થળોએ મળતા ખોરાકની ગુણવત્તા સાથે છે.