જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. માંગરોળમાં બુધવારે સવારથી વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદને કારણે ગોરેજ સહિત કેટલાક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવ્યો હતો. મુશળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે પાલિકાની પ્રિ-મોન્સુન કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે.
જૂનાગઢના માંગરોળના લાલબાગ વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધાબા પર કામ કરી રહેલા બે ભાઈઓને વીજળી પડતા ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વીજળી પડવાથી ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી, જ્યારે નજીકના ઘરોમાં વીજળીના સાધનોને નુકસાન થયું હતું.
જૂનાગઢમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. માણાવદરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે માણાવદર શાક માર્કેટ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારે અમરેલીમાં પણ મુશળધાર વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ત્યાં ભેંસો પણ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી.
બુધવારની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના કુલ 49 જિલ્લામાં વરસાદ પડ્યો છે. તેમાંથી 4 જિલ્લામાં 4 ઇંચથી વધુ અને બે જિલ્લામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢના માણાવદરમાં 68 મીમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.
આ સાથે જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી થઈ શકે છે. સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી છે. આથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન, દરિયાકાંઠે પવન ફૂંકાય તેવી સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.