Ahmedabad Plane Crash: ICU સુધીની દોડ, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું
Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદ શહેરમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનાએ અનેક જીંદગીઓને હચમચાવી નાખી. એ દુર્ઘટનામાં ગ્વાલિયરના અને અમદાવાદની મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ કરતા 20 વર્ષીય આર્યન રાજપૂતનું પણ મૃત્યુ થયું. જેના જીવનની છેલ્લી લાઈનમાં તે પોતાના મિત્રને માત્ર એટલું કહી ગયો: “તું જા, હું હાથ ધોઈને આવીશ…”
દુર્ઘટનાના થોડી મિનિટો પહેલા…
ઘટનાના દિવસે આર્યન અને તેનો મિત્ર બંને હોસ્ટેલની મેસમાં ભોજન લઈ રહ્યા હતા. ભોજન પૂરો કરી આર્યનના મિત્રે બહાર જવા તૈયારી કરી ત્યારે આર્યને કહ્યું, “તું જા, હું જરાક હાથ ધોઈને આવીશ.” આર્યન પાછળ રહી ગયો અને એ જ પળે મોત તેની તરફ દોડી આવતું હતું. એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ સીધું હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ ગઈ.
આર્યનનો મિત્ર બહાર આવી ગયો હતો અને જીવતો બચી ગયો. વિમાન ક્રેશના તરત પછી તેણે આર્યનનો ફોન ઉપાડ્યો અને પરિવારજનોને માહિતી આપી. જ્યારે આર્યનને ગંભીર હાલતમાં હોસ્પિટલના ICU માં ખસેડવામાં આવ્યો, ત્યારે પણ આશા જીવતી હતી, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું.
સમય પહેલાં જીવન છીનવી લેવામાં આવ્યું
જ્યારે આર્યનના માતા-પિતા અને પરિવારના લોકો અમદાવાદ તરફ રવાના થયા હતા, ત્યા સુધી આર્યન મૃત્યુ પામ્યો હતો. પરિવારને તેવું લાગ્યું કે એક સ્ફટિક જેવી જીંદગી ક્ષણમાં ભસ્મ થઈ ગઈ. આર્યનના પિતરાઈ ભાઈએ જણાવ્યુ કે તે ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો. તેણે NEET પરીક્ષામાં કોચિંગ વિના જ 720 માંથી 700 ગુણ મેળવ્યા હતા.
ખેડૂત પિતાની આશા હવે સ્મૃતિ બની
આર્યનના પિતા રામહેત રાજપૂત ગામમાં ખેડૂત છે. તેમણે કહ્યું કે, “મારા જીવનનું એકમાત્ર સપનું હતું કે મારા પુત્રને ડૉક્ટર બનાવું. આજે એ સપનુ તો ગયું, પણ આર્યનના સપનાને આજે આખો દેશ યાદ કરે છે.” ગામના સરપંચે જણાવ્યું કે આર્યનનું મૃત્યુ તેની માતાને હજુ સુધી જણાવાયું નથી—કેમ કે તે દુઃખ સહી શકશે નહીં.
એક દુર્ઘટના, અનેક ટૂટી ગયેલી આશાઓ
આર્યનની કથામાં માત્ર એક જીવ નહીં ગયો, પરંતુ તેની સાથે હજારો સપનાઓ પણ ભસ્મ થઈ ગયા.