Ahmedabad Plane Crash: માત્ર અધિકૃત ફોન નંબર પરથી જ મળશે માહિતી, ફેક કોલથી બચો
Ahmedabad Plane Crash: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની ભયાનક ઘટનાઓ પછી હવે મૃતદેહો તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. DNA પરીક્ષણ પૂર્ણ થતા જ સિવિલ હોસ્પિટલ દ્વારા નિકટજનોને સંપર્ક કરી અને જરૂરી દસ્તાવેજો સાથે મૃતદેહ આપવાની યોજના અમલમાં મૂકાઈ છે.
અધિકૃત ફોન નંબરથી જ થશે સંપર્ક
હોસ્પિટલ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ડીએનએ સેમ્પલ આપનાર વ્યક્તિનો જ સંપર્ક કરવામાં આવશે અને તે પણ સિવિલ હોસ્પિટલના અધિકૃત નંબર પરથી. તે સિવાય કોઈપણ ફોન કોલ અથવા અપ્રમાણિત સંપર્ક પર પરિજનોએ વિશ્વાસ ન રાખવો. સંપર્ક માટે નીચેના મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે:
9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875
મૃતદેહ લેવા કોણ આવશો?
વહીવટીતંત્રે જણાવ્યું છે કે શક્ય હોય તો ડીએનએ સેમ્પલ આપનાર વ્યક્તિએ પોતે હાજર રહેવું જોઈએ. જો તે શક્ય ન હોય, તો પરિવારનો નિકટના સંબંધી પોતાના ઓળખપત્ર સાથે આવી શકે છે. આવી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:
પોતાનું આધાર કાર્ડ અથવા સરકારી ઓળખપત્ર (મૂળ)
મૃતકનું આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર કે પાસપોર્ટ (મૂળ અથવા નકલ)
જો અન્ય કોઈ મૃતદેહ લેવા આવે છે, તો ઓથોરિટી લેટર સાથે આવવું ફરજિયાત રહેશે.
હોસ્પિટલ તરફથી આપવામાં આવનારા દસ્તાવેજો
મૃતદેહ સોંપતી વખતે હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર અને કાનૂની પ્રક્રિયા માટે જરૂરી તમામ દસ્તાવેજો પરિવારને ફાઈલરૂપે સોંપશે. જો મૃતકના સંબંધની કોઈ સાચી ઓળખ ન હોય તો, સંબંધિત સરકારી કચેરી (તહસીલદાર, કલેક્ટર, પ્રાંત અધિકારી)નો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
દફન માટે મફત એમ્બ્યુલન્સ
તંત્રે વધુમાં જણાવ્યું છે કે જે પરિવારો રોડ માર્ગે મૃતદેહ લઈ જવા માંગે છે, તેમના માટે મફત એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બીજી તરફ, હવાઈ માર્ગે બીજા રાજ્ય કે દેશમાં મુસાફરી જરૂરી હોય તો, પહેલા થી માહિતી આપી દેવી રહેશે. એર ઈન્ડિયા આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપશે.
ડીએનએ મેચ થતા જ મૃતદેહ પોલીસ સુરક્ષા હેઠળ પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. સિવિલ હોસ્પિટલ તરફથી ફરીથી જણાવાયું છે કે લોકોને હોસ્પિટલના સંપર્ક વિના ત્યાં ન જવું જોઈએ, કૉલ મળ્યા પછી જ કાર્યવાહી કરવી.