Ahmedabad plane crash : સરકાર અને ફોરેન્સિક ટીમો મૃતકોની ઓળખ માટે રાતદિન કાર્યરત
Ahmedabad plane crash પછી થયેલી ડીએનએ ઓળખ પ્રક્રિયામાં અત્યાર સુધી 231 સેમ્પલ સરખાયા છે. તેમાથી 210 વ્યક્તિઓના દેહ તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સોંપી દેવામાં આવ્યા છે. આ મૃતકોમાં 171 ભારતીય નાગરિકો ઉપરાંત 7 પોર્ટુગીઝ, 41 યુકેના નાગરિકો, 1 કેનેડિયન અને 11 નોન-પેસેન્જરોનો સમાવેશ થાય છે.
પરંતુ 21 એવા કિસ્સાઓ છે જ્યાં મૃતકના અન્ય નજીકના સંબંધીઓ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. તેથી DNA મેચિંગ પછી પણ મૃતદેહો તેમની યથાવત ઓળખ માટે અટકાવવામાં આવ્યા છે — તેઓ બાકી સ્વજનોના નમૂનાઓ સાથે વધુ મળતાં જ સ્વીકૃતિ માટે સોંપાશે.
સરકાર અને તંત્રે ઝડપથી આગળ ધપાવ્યું કામ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, સમગ્ર ડીએનએ ટેસ્ટિંગ પ્રક્રિયા કાયદાકીય અને માનવિય દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ હોવાથી તેને ઝડપી અને સચોટ રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને અન્ય સહાયક સંસ્થાઓ, આરોગ્ય વિભાગ તથા સ્થાનિક તંત્રોએ સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓના લોકોએ ગુમાવ્યા પોતાના સ્વજનો
મૃતદેહો ઓળખાઈ ગયેલા 210 લોકોમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોના નાગરિકો સામેલ છે. જેમાં અમદાવાદના 60, વડોદરાના 21, આણંદના 23, સુરતના 11, ખેડાના 11, ભરૂચના 7, ઉદયપુરના 7, ગાંધીનગર અને મહેસાણાના 6-6, ગીર સોમનાથના 5, દિવના 14, બોટાદ, જૂનાગઢ, અમરેલી, જોધપુર, અરવલ્લી, પાટણ, નડિયાદ, દ્રારકા, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, નાગાલેન્ડ અને મહારાષ્ટ્રથી 1થી 2 લોકોનો સમાવેશ થાય છે.
પરિવાર માટે ખાસ ટીમની રચના
વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારજનોની સહાય માટે રાજ્ય સરકારે વિશેષ ટીમ ગોઠવી છે. દરેક ટીમમાં વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક અનુભવી કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેથી પારિવારિક સલામતી અને માનસિક આરામ સુનિશ્ચિત થઈ શકે.