Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણી સવાર હતા
Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ છે. વિમાને 242 મુસાફરોને લઇને ઉડાન ભરી હતી, જેમાંથી 50થી વધુ લોકોના મૃતદેહ બહાર કઢાયાની પૃષ્ટિ થઈ છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી છે.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, “હું અમદાવાદમાં એર ઈન્ડિયાનાં પેસેન્જર વિમાનના ક્રેશ થવાની દુઃખદ ઘટના પર વ્યથિત છું. દુર્ઘટનામાં રાહત કાર્ય શરૂ કરવા તથા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા અધિકારીઓને સૂચના આપી છે. ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવાની તમામ વ્યવસ્થા અને સૌમ્યતા સાથે સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મારી સાથે વાત કરી અને એનડીઆરએફ ની ટીમો અને કેન્દ્ર સરકાર તરફથી પૂરી મદદની ખાતરી આપી છે.”
દુર્ઘટના કેવી રીતે બની?
માહિતી મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફ થયા પછી માત્ર બે મિનિટમાં વિમાને એક વૃક્ષ સાથે અથડાતાં તે નિયંત્રણ ગુમાવીને નજીકની બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું. આ વિમાને 242 મુસાફરોને લઇને ઉડાન ભરી હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. આ દુર્ઘટના બાદ એરપોર્ટ અને તેની આસપાસ ભારે દોડધામ મચી ગઈ હતી.