Ahmedabad Plane Crash વિમાન દુર્ઘટના બાદ મુસાફરો માટે રાહત: પશ્ચિમ રેલ્વે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો
Ahmedabad Plane Crash 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે, એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. ટેકઓફ પછી માત્ર બે મિનિટમાં, વિમાન મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું, જેના કારણે વિમાનમાં સવાર 242 લોકો (230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર) અને જમીન પરના લોકો ઘાયલ થયા છે.
મૃતદેહોની પુષ્ટિ અને રાહત કામગીરી:
પ્રાથમિક માહિતી અનુસાર, 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. દુર્ઘટનાને પગલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમો રાહત કામગીરીમાં જોડાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.વિમાનમાં સવાર મુસાફરોની માહિતી:
વિમાનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિમાનમાં સવાર હોવાના અહેવાલ છે, પરંતુ તેમની સ્થિતિ અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
રેલ્વે દ્વારા વધારાની ટ્રેનો:
પશ્ચિમ રેલ્વે દ્વારા, દુર્ઘટનાને પગલે મુસાફરોને મદદરૂપ થવા માટે આજે રાત્રે 11:30 વાગ્યે અમદાવાદથી દિલ્હી માટે અને મધ્યરાત્રે 12 વાગ્યે અમદાવાદથી મુંબઈ માટે એસી ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર:
દુર્ઘટનામાં અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે, રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 1800 5691 444 જાહેર કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટના સમગ્ર રાજ્ય અને દેશ માટે શોકજનક છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે અને તમામ જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે, હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.