Ahmedabad plane crash DNA identification: દુર્ઘટનાના 6 દિવસ બાદ પણ ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલુ
Ahmedabad plane crash DNA identification: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનાના પગલે અત્યાર સુધીમાં 208 મૃતકોના ડીએનએ નમૂનાઓ મેળ ખાતા બહાર આવ્યા છે. જેને આધારે 173 મૃતદેહો તેમના સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાને કારણે આ કામ કાયદાકીય દ્રષ્ટિએ સંપૂર્ણ સુચિત રીતે, ઝડપથી અને સાવચેતતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સંબંધિત તંત્રો તેમજ આરોગ્ય વિભાગ સહિતની વિવિધ એજન્સીઓ સતત સમન્વય સાથે કાર્યરત છે.
મૃતકોના રાજ્ય અને દેશ પ્રમાણે વિભાજન:
173 ઓળખાયેલા મૃતદેહોમાંથી 131 વ્યક્તિઓ ભારતીય નાગરિક છે. ઉપરાંત 30 યુકે (UK) નાગરિકો, 4 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 6 નોન-પેસેન્જર સહિતના લોકોનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 12 એવા કેસો છે જ્યાં એક જ પરિવારના વધુ સભ્યો ઘટનાનો ભોગ બન્યા છે. તેથી, કેટલાક મૃતદેહો તેના અન્ય સંબંધીઓના ડીએનએ સાથે મેળ ખાતાની રાહ જોઈ રહ્યા છે.
જિલ્લાવાર ઓળખ થયેલા મૃતદેહો:
અમદાવાદ – 52
વડોદરા – 19
ખેડા – 10
ઉદયપુર – 6
ગાંધીનગર – 6
મહેસાણા – 5
સુરત – 10
આણંદ – 12
ભરૂચ – 5
દીવ – 12
જોધપુર, બોટાદ, પાટણ, મહારાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, ભાવનગર, પટણા, નડિયાદ, દ્વારકા, રાજકોટ, સાબરકાંઠા – દરેકમાંથી 1 કે 2 મૃતદેહો ઓળખાયા છે.
મૃતકોના પરિવારજનો માટે વિશેષ સહાય:
રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવાર માટે એક અલગ સહાય ટીમની રચના કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી તથા વ્યાવસાયિક કાઉન્સેલરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી દુઃખી પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન, સહાનુભૂતિ અને જરૂરિયાત મુજબની મદદ મળી શકે.
12 જૂનના રોજ લંડન જતું એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI171 મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં અનેક જીવ ગુમાવા પડ્યા હતા. ત્યાર બાદથી મૃતદેહોની ઓળખ અને પરિવારો સુધી તેને સોંપવાની પ્રક્રિયા સતત શરૂ છે.