Ahmedabad Plane Crash લંડન જતું બોઇંગ 787 વિમાન અમદાવાદ નજીક મેઘનાનગર વિસ્તારમાં ધરાશાયી, ૨૪૨ લોકો સવાર હતા; રાહત કામગીરી ચાલુ
Ahmedabad Plane Crash અમદાવાદ, ૧૨ જૂન ૨૦૨૫ – એર ઇન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઇટ AI171 ગુરુવારે બપોરે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ થોડીવારમાં જ રાહદાર વિસ્તારમાં, મેઘનાનગર પાસે ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ ૨૪૨ લોકો હતા, જેમાંથી ૧૦ ક્રૂ સભ્યો હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “આ દુર્ઘટના ખૂબ દુઃખદ છે. અમે ઘણા લોકોને ગુમાવ્યા છે. અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને સાચા આંકડાની રાહ જોવી જરૂરી છે.”
વિમાનમાં કેટલાં અને કયા દેશોના નાગરિકો હતા?
એર ઇન્ડિયા અનુસાર, વિમાનમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સામેલ હતા. દુર્ઘટના સ્થળ નજીકના મેઘનાનગર વિસ્તારમાં પણ નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે અને ત્યાંના કેટલાક રહેવાસીઓના મોતની શક્યતા છે.
દ્રશ્ય ભયાનક હતું: પ્રત્યક્ષદર્શીનું નિવેદન
પ્રત્યક્ષદર્શી જયેશ પટેલે કહ્યું, “હું લગભગ ૫૦૦-૬૦૦ મીટર દૂર હતો ત્યારે જોરદાર અવાજ થયો અને ધુમાડાના ગોટા ઉડતા જોયા. મેં જીવનમાં ક્યારેય આવું દૃશ્ય જોયું નથી.” લોકોએ તાત્કાલિક બહાર આવીને રાહત કાર્યમાં મદદ કરવાની કોશિશ કરી.
ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયાની તાત્કાલિક કામગીરી
એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરન અને ટાટા ગ્રુપે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, “આ દુર્ઘટનાથી અમે ખૂબ દુઃખી છીએ. અસરગ્રસ્ત લોકોને મદદ અને જરૂરી સહાય પૂરી પાડવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.” મુસાફરોના પરિવારજનો માટે હોટલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કરવામાં આવ્યો છે.
અજાણ્યા મોતના આંકડાઓ, હકીકત હજુ સામે આવવાની બાકી
હજુ સુધી મૃત્યુઆંક અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિદેશ મંત્રાલયે “ઘણા લોકોને ગુમાવ્યા” હોવાનું સ્વીકાર્યું છે. બચાવદળો હજુ પણ સ્થળ પર કામગીરી કરી રહ્યા છે.
આ પહેલા ક્યારેય એવું બન્યું છે?
આ દુર્ઘટના અમદાવાદમાં 1988 પછીનો બીજો મોટો વિમાન અકસ્માત છે. તે વખતે ઇન્ડિયન એરલાઇન્સના વિમાન અકસ્માતમાં 130 લોકોના મોત થયા હતા.