અમદાવાદ શહેરમાં યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા.તે પ્રેમીઓએ પ્રેમને સંબંધનું નામ આપીને એકસાથે જિંદગીભર રહેવા માટે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ તેમના પરિવાર લગ્ન માટે માનતો ન હતો. જેથી બન્ને પ્રેંમીઓએ ઘરેથી ભાગ્યા હતા પણ ડરના લીધે તેઓએ નદીમાં કૂદી મોતને વ્હાલું કર્યું હતું.અને બીજી તરફ બંનેના પરિવારે દીકરો-દીકરી ભાગી ગયા હોવાની જાણ થતા બન્નેના લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું હતું.પરિવારે બન્નેને શોધીને ગોળ-ધાણા ખાવાનું નક્કી કર્યું પણ તેના પહેલાં બન્નેની નદીમાંથી લાશ મળી આવી હતી.
અમદાવાદ સાબરમતી નદીમાં RBI બેન્ક પાસે યુવક-યુવતીએ નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું હતું.જે આ ઘટનામાં બન્નેના મોત નિપજ્યા છે.નદીના તરવૈયાએ બંને લાશને બહાર કાઢી તો મૃતક હોવાનું સામે આવ્યું હતું.આ ઘટનાની જાણ થતા અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલિસની ટિમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી તો ખબર પડી કે મૃત્યુ પામેલી યુવતીનું નામ ગુનગુનબેન (ઉં.વ. 19) છે. જ્યારે યુવક રાકેશ (ઉં.વ. 21) મળી આવ્યો હતો. બંને યુવકો એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારે લગ્ન માટે પૈસા આપ્યા ન હતા. જેથી એક દિવસ પહેલા જ બંને ઘરેથી ભાગી ગયા હતા.
ઘરમાંથી ભાગી છૂટ્યા બાદ હવે શું થશે અને આગળ શું થશે તેની ચિંતા બંનેને હતી. આ ચિંતામાં બંને નદીમાં કૂદીને જીવન ટૂંકાવવા માટે ગયા હતા. બીજી તરફ ગુનગુન અને રાકેશ સાથે ભાગી ગયા હોવાની જાણ થતાં બંનેના પરિવારો પણ મળ્યા હતા.દરમિયાન બે પરિવારોએ દીકરા અને દીકરીના મરજીથી લગ્ન કરવી દઈશું તે નક્કી કર્યું હતું.
યુવક અને યુવતીના બે પરિવારો વચ્ચે થઇ ચર્ચામાં કે તેઓ બંનેના લગ્ન કરી દઈશું.બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો.બંને આવી જાય એટલે લગ્ન ઘૂમધામથી,વાજતેગાજતે કરીશું.બંને પરિવારે પહેલા શોધવાનું નક્કી કર્યું હતું.પણ તેઓ મળે તે પહેલા બંનેની લાશ મળી હતી.પરિવારોની બધી ખુશી મનમાં રહી ગઈ અને પરિવારજનો ખુશીનો માંડવો બાંધવાને બદલે બન્નેની નનામી બાંધવાનો વારો આવ્યો છે.હાલ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને તપાસ હાથ ધરી છે.