દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવશે આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે. નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર લેવાશે.
પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે એ માટે ગુજરાતે વિવિધ માગણી કરી છે. સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રેક્ટ પૂરો થતાં હવે નવેસરથી ટેન્ડર શરૂ કરાશે. આ સિવાય છ સ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યૂ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એર સ્ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.
સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જોય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી 20 જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે.સુરત એરપોર્ટ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે રનવે પર વિઝિબિલિટી ઘટતાં સુરત જતી ત્રણ ફ્લાઇટ અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ હતી, જેમાં દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની અને ઇન્ડિગોની ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટ પર જ્યારે કોલકાતાથી આવેલી ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ હતી. જોકે થોડા સમય બાદ વિઝિબિલિટી સુધરતાં ડાઇવર્ટ કરાયેલી ફ્લાઇટ તબક્કાવાર અમદાવાદથી સુરત પરત મોકલવામાં આવી હતી. આ સમય દરમિયાન બંને ફ્લાઇટના પેસેન્જરોને એરક્રાફ્ટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.