કોરોના દિવસે દિવસે ઓસરી રહ્યો છે. સરકારે ગાઈડલાઈન સાથે નવરાત્રિની ઉજવણી તથા શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની મંજુરી આપી છે. પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનેશનના પુરાવા ચેક કરવા માટે હવે કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરવા પડશે અને સોસાયટીના આગેવાનો તથા ગરબા આયોજકોએ પણ ગરબામાં આવતા લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવા પડશે. હવે શહેરમાં ટ્રાફિક જંક્શન ખાતે વાહન ચાલકોએ પોલીસને વેક્સિનના પુરાવા બતાવવા પડશે. જેમની પાસે નહીં હોય તેમને તરત જ નજીકના વેક્સિન સેન્ટર ખાતે લઈ જઈને રસી અપાવવામાં આવશે.
AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી ચાલી રહી છે. તેની સાથે અમદાવાદમાં પણ રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝન હોવાથી સરકારે રસી ફરજિયાત કરી છે. તે ઉપરાંત સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, બાગ બગીચા અને સિટી બસોમાં જનારા લોકોએ પોતે વેક્સિન લીધી છે તેવો પુરાવો સાથે રાખવો પડશે. નહીં તો તેમને પ્રવેશ મળશે નહીં. શહેરમાં હવે બાકી રહેલા લોકો વેક્સિન લઈ લે તે માટે AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. આગામી બે જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોના વેક્સિનેશનના પુરાવા ચેક કરવામાં આવશે.
અમદાવાદમાં 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ લીધો
અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકોને અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યા છે.
દિવ્યાંગ લોકોને AMC ઘરે આવીને વેક્સિન આપશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે.
AMCનો 100% પ્રથમ ડોઝનો ટાર્ગેટ
અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ સહિતની કોર્પોશનની બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા વેક્સિન ફરજિયાત છે.
આટલા સ્થળો પર વેક્સિન વગર નો-એન્ટ્રી
AMC દ્વારા અમલમાં મુકવામાં આવેલા નિર્ણય અનુસાર વેક્સિનેશન ઝુંબેશને વધુ વેગ મળી રહે તેમજ શહેરના તમામ નાગરિકોને 100% પ્રથમ ડોઝ મળી રહે તેને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ પ્રિમાઈસીસ જેવા કે, શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો પર એન્ટ્રી માટે વેક્સિનનો પ્રથમ અથવા બંને ડોઝ લેવા ફરજિયાત છે, એટલે વેક્સિન વગરના કોઈપણ વ્યક્તિને આ સ્થળો પર પ્રવેશ આપવામાં નહીં આવે.