અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન તેમજ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 132 ફૂટ રિંગ રોડ પરથી મેટ્રો પસાર થવાની છે, ત્યારે જીવરાજ બ્રિજ પર મેટ્રો રેલની કામગીરીના કારણે બ્રિજને વાહનવ્યવહાર માટે એક અઠવાડિયા સુધી આજથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જીવરાજ બ્રિજ 1થી 7 ઓગસ્ટ સુધી સંપૂર્ણપુણે બંધ રહેશે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. બ્રિજ બંધ કરાતા વાહનવ્યવહારને વેજલપુર તથા ધરણીધર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.
લોકોએ આ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
જીવરાજ બ્રિજને બદલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળીયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુએ વળીને વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી જમણી તરફ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ પર જીવરાજ બ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણીબાજુએ વળીને શ્રેયસ બ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણીબાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રિજને સમાંતર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે.