અમદાવાદમાં ઘરકંકાસ અને શારિરીક માનસિક ત્રાસના અનેક બનાવો પ્રકાશમાં આવતા રહે છે. પોલીસ ચોપડે પણ મહિલાઓ દ્વારા થતી ફરિયાદો હવે વધી રહી છે. દહેજની માંગણીનું દૂષણ આજના શિક્ષિત સમાજમાંથી હજુ સુધી દૂર થયું નથી. શહેરની પરીણિતાને તેના સાસરિયાઓએ પિતા પાસેથી 18 લાખ લાવવાની માંગ કરી હતી અને જો નહીં લાવે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી. તેનો પતિ પર દારૂ પીને મારઝૂડ કરતો હતો. કંટાળેલી પરીણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કામનાબેન (નામ બદલ્યું છે)ના લગ્ન 22 વર્ષ પહેલાંકમલેશ ભાઈ ( નામ બદલ્યું છે) સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે થયાં હતાં. લગ્નના બે મહિના સુધી કામનાબેનને સાસરિયાઓએ સારી રીતે રાખ્યાં હતાં. પરંતુ થોડા જ સમયમાં કામનાબેન પર સાસરિયાઓનો અત્યાચાર વધવા માંડ્યો હતો. કામનાબેનના સસરા વારંવાર તારા બાપના ઘરેથી કશું લાવી નથી એવા શબ્દો બોલીને ગંદી ગાળો બોલતાં હતાં. સસરાનું ઉપરાણું ખેંચીને પતિ કમલેશભાઈ પણ કામનાબેનને મારઝૂંડ કરતો હતો. ઘરમાં ઝગડા ઉભા થતાં કામનાબેને પોતાના પિતા પાસેથી પૈસા મંગાવ્યા હતાં. આ પૈસા પતિ કમલેશભાઈએ વાપરી નાંખ્યા હતાં.કામનાબેન જયારે પહેલીવાર ગર્ભવતી બન્યાં ત્યારે ઘરનું તમામ કામ તેમની પાસે કરાવવામાં આવતું હતું. દીકરીનો જન્મ થયા બાદ પતિ અને સાસરિયાઓનો ત્રાસ ખૂબજ વધી ગયો હતો. જેઠ જેઠાણી અને દિયર દેરાણી પણ કામનાબેનને બાપના ઘરેથી દાગીના કે રૂપિયા લાવી નથી આને ઘરમાંથી કાઢી મુકો એમ કહીને પતિને ચઢામણી કરતાં હતાં. જેથી પતિ તેમની વાતોમાં આવીને કામનાબેનને મારઝૂડ કરતો હતો. કામનાબેનને સમય જતાં દીકરો જન્મ્યો હતો . જેથી આ બંને બાળકોની દવાઓ અને ભરણપોષણનો ખર્ચો તેઓ નોકરી કરીને પુરો કરતાં હતાં. તે ઉપરાંત પિતા પાસેથી પણ જરૂર પડ્યે વધુ પૈસા મંગાવતા હતાં
કામનાબેને પિતાને સાસરિયાઓ તરફથી મળતા ત્રાસની વાત કરી ત્યારે પિતાએ અમદાવાદ આવીને સવા બે લાખ રૂપિયા આપેલા અને ફરીવાર આવું વર્તન નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ આ પૈસા કામનાબેનના સસરા અને પતિએ વાપરી નાંખ્યા હતાં. તેમના પિતાએ કામનાબેન હાલ જે ઘરમાં રહે છે તે ઘર પણ લઈ આપ્યું હતું. તેમણે ઘરનું ફર્નિચર પણ કરાવી આપ્યું હતું. આટલેથી નહીં ધરાયેલા સસરા અને પતિએ કામનાબેને કહ્યું હતું કે, કાપડના ધંધામાં રૂપિયાની જરૂર છે તારા બાપ પાસેથી 18 લાખ નહીં લાવે તો તને ઘરમાંથી કાઢી મુકીશું. તેમનો પતિ રોજ દારુ પીને ઘરે આવતો અને કામનાબેનને માર મારતો હતો. આખરે કંટાળેલ પરીણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો વિરૂદ્ધ દહેજની માંગ અને માનસિક તથા શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.