દિવાળીને હવે ફક્ત ગણતરીના દિવસો રહ્યા છે. કોરોના કાળ ના બે વર્ષ બાદ ફરી બઝારો ધમધમતા જોવા મળ્યા છે. આ વર્ષે લોકોમાં દિવાળી ની ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકોની આશા પ્રમાણે સરકારે દિવાળીના ત્યોહારમાં કર્ફયુની સમય મર્યાદામાં પણ વધારો કર્યો છે.પરંતુ હાલ એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં દિવાળીના ત્યોહારમાં ફટાકડા કેટલા સમય સુધી ફોડી શકાશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમ્યાન રાત્રે 8 થી 10 તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ તેમજ ગ્રીન ફટાકડા સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
એટલું જ નહીં વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફટાકડાનું વેચાણ માત્રને માત્ર લાયસન્સ ધારક સ્ટોર ધારક જ કરી શકશે. કાયમી કે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ ન મેળવનાર વેંડર, લારી ગલ્લા કે હંગામી ધોરણે શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.