ગુજરાતમાં કોરોનાના કેસો હવે ઓછા થયા છે જયારે સમગ્ર વિશ્વમાં નવા ઓમિક્રોન વેરિયન્ટે ઉથલો મચાવ્યો છે. ભારત સરકારે પણ વિદેશમાંથી આવનારા મુસાફરોના એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરવાનો જાહેર કર્યો છે. આ ટેસ્ટમાં જે પણ મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશમાંથી આવનારા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપી દીધો છે. આટલા ખતરનાક વેરિયન્ટને રોકવા સરકાર નિયંત્રણો કડક અમલ કરીરહી છે. બીજી તરફ ગ્રામપંચાયતોની ચૂંટણી અને વાઈબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે.
મંગળવારે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થઈ રહી છે જયારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્રામપંચાયતોની ચૂંટણી છે જેથી સરકારને પણ હવે પ્રતિબંધ હટાવવા કે નહીં એ અંગે મૂંઝવણ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય કરે છે એના પર સૌની નજર મંડાઇ છે. અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં રાત્રિ કર્ફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત્ રાખવો એ મુદ્દે ચર્ચા થઇ હતી. નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મુકાઇ છે. મંગળવારે નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે.અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી એરપોર્ટનું સંચાલન કરતા અદાણીના જવાબદાર હોદ્દેદારો સાથે આરોગ્ય વિભાગના સચિવ જયપ્રકાશ શિવહરેએ બેઠક યોજી હતી જેમાં વિદેશથી આવનારા અને તેમાં પણ ખાસ યુરોપ અને આફ્રિકાના 12 દેશમાંથી આવનારા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમનું ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર ભાર મૂકવા તથા જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર 12 દેશ સિવાય અન્ય દેશમાંથી આવતા પાંચ ટકા પ્રવાસીઓનો રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે,જે વિનામૂલ્યે રહેશે. જ્યારે નોટિફાઇડ કરાયેલા બહાર દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ પ્રવાસીએ પોતાના ખર્ચે કરાવવાનો રહેશે.
ગુજરાતના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે કે વિદેશથી આવનારા દરેક પ્રવાસીનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ ફરજિયાતપણે કરવાનો રહેશે. એ ઉપરાંત જે મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવે એ દરેક કેસનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે જેમાં ગુજરાત સરકારે આફ્રિકન દેશોને પહેલેથી જ આમંત્રણ પાઠવી દીધું છે વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સહિતના સ્ટાફ માટે એરપોર્ટ પર જ ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને તકેદારીનો ચુસ્ત અમલ કરાશે.નવા વેરિયન્ટ મુદ્દે નવી માર્ગદર્શિકા જારીમહત્ત્વની વાત એ છે કે એક તરફ જ્યાં ભારત સહિત અન્ય કેટલાક દેશમાં કોરોના કેસો ઘટ્યા છે, એવામાં ફરી એકવાર ભારત સરકારના આરોગ્ય વિભાગે કોરોનાના નવા વેરિયન્ટ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તેની વચ્ચે અમદાવાદ-શારજાહ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અઠવાડિયામાં 2 દિવસ આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. અરેબિયન દેશની એર અરેબિયા એરલાઇન્સ આ ફ્લાઇટનું સંચાલન કરવાની છે. આમ કરવાથી મિડલ ઇસ્ટ, જેમ કે કુવૈત, દુબઈ, શારજાહ, કતાર, દોહા વગેરે જેવા દેશો સાથે એર કનેક્ટિવિટી વધશે અને પ્રવાસીઓને એનો લાભ થશે.