એવી લોકમાન્યતા છે કે, કાળી ચૌદશના દિવસે તાંત્રિક વિદ્યાને જાણનાર લોકો આ રાત્રિએ સ્મશાનમાં જઇ ભૂત, ભૈરવની પૂજા કરતા હોય છે. કાળી ચૌદશને રૃપ ચૌદશ, નરક નિવારણ ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશના દિવસે લોકો વહેલા ઘરે પહોંચ્યા પછી તે દિવસની રાત્રિએ ઘરેથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. કાળીચૌદશના દિવસે લોકોમાં ભૂત- પ્રેત અને તાંત્રિક વિદ્યાનો ઘણો ડર જોઇ શકાતો હોય છે. એક પરંપરા મુજબ કાળીચૌદશની રાત્રિનાં પહેલા પ્રહરે ઘરમાં ગયા વર્ષથી રહી ગયેલા ક્લેષ, કંકાશ, કકળાટને વડા અને ભજિયાના રૃપે ચાર રસ્તાએ મૂકીને કંકાશને કાઢવાનો એક રિવાજ પણ છે. આજે વાત કરીએ અમદાવાદના એક જાણીતા વિસ્તારની જ્યાં ૧૦૦ વર્ષ પહેલાં લોકો ભરબપોરે બહાર નીકળતા ડરતા હતા.
અમદાવાદના રાયપુર વિસ્તારમાં ‘ભૂતની આંબલી’ નામે જાણીતી જગ્યા છે આજે આંબલીનું વૃક્ષ હયાત નથી પણ તેને લોકો ભૂતની આંબલી તરીકે આળખે છે ત્યારે ભૂતની આંબલી રાયપુર વિસ્તારમાં ભૂતની આંબલી આસપાસ કુંભારવાડો, પ્રજાપતિનું ડેલું, પાંચહાટડીની પોળ, કેશવલાલનું હડેલું જેવી પોળ આવેલી છે. અહીંયા રહેતાં લોકો ભૂતની આંબલી નામ વિશે શું માને છે તેને જાણ્યું અને કેટલીક રસપ્રદ વાતો સામે આવી. જોકે હાલ આ વિસ્તાર અમદાવાદના અન્ય વિસ્તારોની જેમાં ખૂબ નોર્મલ જ છે.
પહેલાં ચાર રસ્તા ઓળંગવામાં પણ લોકોને ઘણી બીક લાગતી હતી
પ્રવિણચંદ્ર પ્રજાપતિ: મને મારા પિતા તથા દાદા પાસેથી આ ભૂતની આંબલી વિશે ઘણી વાતો સાંભળવા મળી હતી. તેઓ કહેતા કે અહીં ખાટી આંબલી મોટું વૃક્ષ હતું અને ત્યાંં ભૂતપ્રેત રહેતા હતા. સમય જતા લોકો દિવસે બપોરના સમયે ૩ વાગ્યા પછી પોતાના કામ પૂર્ણ કરીને ઘરની બહાર નીકળતા ન હતા સાથે ચાર રસ્તા પણ ઓળંગી શકતા ન હતા. તે સમયે લોકોમાં ઘણો ભય હતો કે ભૂત સામે આવશે તો શું કરશે વગેરે..વગેરે.. પણ છેલ્લાં ૪૦થી ૫૦ વર્ષમાં આજે ભૂત જેવું કંઇ રહ્યું નથી જીવે છે.
બાળપણમાં જેનાથી રડવાનું બંધ થતું એ ભૂતની આંબલી સામે જ રહું છું
રમાબેન પ્રજાપતિ: મને સમજણ આવી ત્યારથી અહીં ભૂતની આંબલી આવેલી છે તેવું સાંભળું છું. બાળપણમાં હું રડંુ કે ખોટી પજવણી કરું ત્યારે સામે આંબલી પરથી ભૂતને બોલાવું તેવું માતા-પિતા કહેતાં. આજે આ ભૂતની આંબલી સામે જ રહું છું. પહેલાં ઘણો ડર હતો પણ સમય જતાં રોડ રસ્તાઓ બનવાને લીધે આંબલી પાડી નાખવામાં આવી હતી. પહેલાં કાળીચૌદશના દિવસનો ડર લાગતો હતો પણ આજે એવું રહ્યું નથી.
ભૂત જોયું નથી, અહીં ભૂતની આંબલી હતી તે પેઢીઓથી સાંભળું છું
અજય પ્રજાપતિ: મારા પરિવારના લોકો કહેતા હતા કે અહીં આવેલી આંબલી પર ભૂત રહેતું હતું અને તેને લીધે તેનું નામ ભૂતની આંબલી પાડવામાં આવ્યું હતું. મેં કોઇ દિવસ ભૂત જોયં નથી પણ ભૂતની આંબલી આવેલી હતી તે પેઢીઓથી સાંભળું છું. છેલ્લાં ઘણા વર્ષોથી અહીં કોઇ કોઇ ડર કે ભૂતની સતામણી જેવી ઘટના બની નથી. હવે માણસ જ ભૂત જેવો બની ગયો છે અને હાલમાં ભૂત સામે આવે તો માણસને જોઇને ભાગી જાય તેવો સમય છે.