અમદાવાદ શહેર માં એક તરફ જીવલેણ કોરોનાનો કેર છેલ્લા સાત મહિનાથી સતત યથાવત છે છ, ત્યારે બીજી તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાએ ભરડો લેવાનું ચાલુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચિકનગુનિયામાં સખ્ત શરીરના દુખાવા સાથે તાવ આવતો હોવાથી લોકો પ્રાથમિક તબક્કે ભારે ચિંતા સાથે કોરોનાનો ટેસ્ટ કરાવવા દોડી જાય છે. મ્યુનિ. કર્મચારી – અધિકારીઓને પણ આ અનુભવ થઈ ચુક્યો છે.
તાવ શરૂ થતાં જ લોકોનું ટેન્શન વધ્યું
નોંધનીય છે કે આ દરમ્યાનમાં મ્યુનિ.ના હેલ્થ વિભાગે ચોમાસાની ઋતુ પહેલાં કે ઋતુ શરૂ થઈ ગયા પછી લેવાની થતી કાળજી પરત્વે સેવેલી ઘોર બેદરકારીનું પરિણામ હાલ લોકો ભોગવી રહ્યાં છે. ગયા વર્ષે ચિકનગુનિયાના કેસો નહિવત થઈ ગયા હતા, તેણે ફરી માથું ઉંચક્યું છે. એક પણ સોસાયટી કે ફલેટ ચિકનગુનિયાથી અછૂતો રહી ગયો નથી.
કાળજી પરત્વે સેવેલી ઘોર બેદરકારીનું પરિણામ હાલ લોકો ભોગવી રહ્યાં છે
ત્યારે બીજી તરફ કાર્યકારી હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કોઈ અગમ્ય કારણોસર દર સોમવારે રોગચાળાના આંકડા સાથે બહાર પડાતો હેલ્થ રિપોર્ટ સદંતર બંધ કરી દીધો છે. જેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ અને તેનાથી થતાં મરણની બાબતો બહાર આવતી નથી.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ અને તેનાથી થતાં મરણની બાબતો બહાર આવતી નથી
સ્વાઈનફલૂની વિગતો પણ છુપાવવામાં આવી રહી છે. ચોમાસા દરમ્યાન થયેલાં ઝરમરિયા વરસાદના કારણે તમામ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને બીજી તરફ ફોગીંગ અને સર્વેક્ષણની કામગીરી ધીમી પડી ગઈ છે. તેમજ મ્યુનિ. ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીના આંકડા મેળવવાની તસ્દી પણ લેતું નથી.