અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનું કામ લોકડાઉનમાં થોડા દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયું છે. ત્યારે હવે આ અંગે એક નવા સમાચાર મળી રહ્યા છે. જે મુજબ, હવે ભીડથી હંમેશા ભરેલું રહેતુ અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન જ બુલેટ અને મેટ્રો સ્ટેશન બનશે. સ્માર્ટ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશનું એકમાત્ર સ્ટેશન હશે કે જ્યાં પ્લેટફોર્મથી ઉપર બુલેટ ટ્રેન અને અંડરગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન દોડતી હશે. એટલું જ નહીં, અન્ય રેગ્યુલર ટ્રેન તો આવતી-જતી રહેશે જ. આમ એક જ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્રકારની ટ્રેનો દોડતી જોવા મળશે. 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન આગામી દિવસોમાં દેશનું એક એવું ટ્રાન્સપોર્ટેશન હબ બની જશે, જ્યાં એક સાથે રેલવે, બુલેટ અને મેટ્રો એમ ત્રણ પ્રકારના સ્ટેશન હોય.
મુસાફરોને અવરજવરમાં સરળતા થશે
પ્લેટફોર્મ 11થી 12 વચ્ચેનું બુલેટ ટ્રેન સ્ટેશન 20 મીટર ઊંચા થાંભલા પર બનાવવામાં આવશે. જ્યારે રેલવે સ્ટેશન ડાઉનસ્ટ્રીમ પરના પુનર્વિકાસના ભાગ રૂપે તૈયાર થઈ જશે અને ત્યાંથી ટ્રેનો ચલાવવામાં આવશે. અહીં મેટ્રો કામગીરી પણ ધમધમી રહી છે અને જમીનથી 20 મીટર નીચે એક મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. હેરિટેજ સિટી અમદાવાદના હાર્દમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદથી અવરજવર માટેનું મધ્યવર્તી સ્થાન છે. 157 વર્ષ જૂના આ રેલવે સ્ટેશનના કોમ્પ્લેક્સમાંથી બુલેટ ટ્રેન અને મેટ્રોની અવરજવર શરૂ થશે. નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અનુસાર, બુલેટ ટ્રેન માટે કોઈ અલગથી સ્ટેશન બનાવવામાં નહીં આવે. આ ટ્રેન કાલુપુર તેમજ સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે. આ નિર્ણયથી મુસાફરોને અવરજવરમાં સરળતા થશે. મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે એ માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
અહિંથી 3 પ્રકારની ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે
અમદાવાદના રેલવે સ્ટેશનના 3 પ્લેટફોર્મનો હવાલો NHSRCને સોંપી દેવાયો છે.પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સોંપાયો છે જ્યાં બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ 10થી 12 પરની ઓફિસો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્લેટફોર્મની જગ્યાએ બુલેટ ટ્રેનના 20 મીટર ઊંચા પિલર બનશે અને નીચે રિ-ડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે સ્ટેશન તૈયાર થશે. જમીનના 20 મીટર નીચે મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી થઈ રહી છે. આમ, અહિંથી 3 પ્રકારની ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવાનું હોવાથી રેલવે દ્વારા આ જગ્યાનો હવાલો નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને સોંપી દેવાયો છે અને અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવવા માટે જૂની ઓફિસ તોડવાનું કામ શરૂ કરી દેવાયું છે. કાલુપુરના સરસપુર તરફ જવાના રસ્તે આવેલ છેલ્લા 3,10,11,12 પ્લેટફોર્મ અલગ ફાળવવામાં આવશે. સંભવિત છે કે, હાલની ટિકીટ બારી પણ તૂટે અને નવા સ્થળે ટ્રાન્સફર થાય.
PM મોદીએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો
સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેનો અંદાજીત ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે. મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા) જાહેર પરિવહન પ્રોજેક્ટ જૂન 2005માં કેન્દ્ર સરકાર દ્વારા પાસ થઈને તેની કામગીરીનો ફેબ્રુઆરી 2010માં આરંભ કરાયો હતો. જેનો અંદાજીત ખર્ચ 4295 કરોડ છે. મહત્વનું છે કે, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં કુલ 12 સ્ટેશન બનશે. જેમાંથી સુરત, વાપી, બીલીમોરા, ભરૂચ અને નડિયાદ એમ 5 સ્ટેશન માટેનાં ટેક્નિકલ બીડ્સ ખોલવામાં આવ્યાં છે, જ્યારે અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે. સ્ટેશનને હેરિટેજ લૂક આપવા માટે ભારતીય રેલવેએ કવાયત હાથ ધરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજાની રેપ્લિકા મુકાશે.
1863માં કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલી ટ્રેન દોડી
ઉલ્લેખનીય છે કે 157 વર્ષ પહેલાં અમદાવાદ-સુરત લાઇન પર પહેલું લોકમોટિવ તૈયાર કરાયું હતું, જે બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે કંપની તરફથી બનાવવામાં આવ્યું હતું. 16 એપ્રિલ, 1853ના રોજ દેશમાં પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ આશરે 10 વર્ષ પછી 20 જાન્યુઆરી, 1863ના રોજ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટીમ એન્જિન સાથેની આ ટ્રેનને જોવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જામી હતી.
કાળુપુર રેલવે સ્ટેશન પરથી દેશભરમાં દોડે છે ટ્રેન
અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન શહેરનાં અન્ય સ્ટેશનો, જેવાં કે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, અસરવા, સાહિજપુર, સરદારગ્રામ, નરોડા, સરખેજ, વસ્ત્રાપુર, ગોરગુમાથી ઓળખવા માટે, ચાંદલોડિયા, ચાંદલોડિયા બી, ચાંદખેરા રોડ, આંબલી રોડ, વટવા, મણિનગર, સાબરમતી જંકશન એસબીએલએસ અને સાબરમતી જંકશન એસ.બી.જી. એ ગુજરાતના જુદા જુદા ભાગો તેમજ મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ત્રિવેન્દ્રમ, અજમેર, ધનબાદ, દાલટોનગંજ, ગ્વાલિયર, જયપુર, ઇન્દોર અને હાવડા જેવાં સ્થળે અમદાવાદને જોડતી ટ્રેનોમાં સેવા આપે છે.