અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આવેલી શ્રી હરિ સોસાયટીમાં રાત્રે ગેટ ખોલવાની રહીશોની અંદરની માથાકૂટમાં લાભ લઈ પોતાનું વર્ચસ્વ બતાવવા કરણી સેના તેના માથાભારે શખ્સોનું ટોળું લઈ આવી અને મહિલાઓ સહિત રહીશોને જાહેરમાં વાળ પકડી ઘસડી ઘસડીને માર માર્યો હતો. 20 થી વધુ શખ્સોએ કરણી સેનાના નારા લગાવી મહિલાઓના કપડાં ફાડી તાંડવ મચાવતા રહીશો ફફડી ગયા હતા. નરોડા પોલીસે આ મામલે ભોજારામ ગુર્જર સહિત ત્રણની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. કોરોનાનો રોગચાળો ફટી નીકળ્યો હોવાથી રાત્રીના કરફ્યૂમાં અવરજવર ન કરે તે માટે સોસાયટીના સભ્યોએ ગેટને લોક મારી દીધું હતું.
ગુરુવારે મહેશભાઇ નોકરી પર હતા આ સમયે ફેન પર એક શખ્સે જણાવ્યું કે, હું કરણી સેનાનો અધ્યક્ષ રાહુલસિંગ રાજપૂત બોલું છું. તાત્કાલિક દુકાનો માટે રસ્તો ચાલુ કરી આપો. નહીં તો કરણી સેનાના માણસો આવી તમને તથા સોસાયટીના સભ્યોને મારીશું. ત્યાર બાદ આ લોક તોડી નાખ્યું હતુ તેમજ જણાવ્યું કે, સાંજે રૂબરૂમાં તમારી ખબર લઉં છું, જેથી ડરી ગયેલા મહેશભાઇએ રાત્રે સોસાયટીના સભ્યોને જાણ કરી હતી. બીજીબાજુ ભોજારામે સોસાયટીના સભ્યો સાથે સમાધાન કરી લીધું હતું. બાદમાં ભોજારામે અને રાહુલસિંગ સહિતના લોકોએ બદલો લેવા કાવતરું રચ્યું હતું અને મોડી રાત્રે 25 લોકો કરણી સેનાના નામે સોસાયટીમાં ઘૂસી આવ્યા અને જય કરણી સેના જય કરણી સેના કરી તેવી બૂમો પાડી ગાળો બોલી હાજર મહિલાઓના કપડાં ફાડી કાઢી હુમલો કર્યો હતો.