હંસાબેન પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગયા બુધવારે SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, ત્યાં બેડ ખાલી ના હોવાથી તેમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરાયાં હતાં ત્યાંથી પણ હંસાબેનને બેડ ખાલી નથી તેમ કહી એડમિટ કરી દેવાનો ઈનકાર કરી દેવાયો હતો. બીજી એક હોસ્પિટલમાં એડમિટ થવા માટે તેમને ફરી રેફરલ લેટર લેવો પડ્યો હતો, અને આખરે લાંબી માથાકૂટ બાદ તેઓ એડમિટ થઈ શક્યાં હતાં. કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની જો પહેલાથી જ માહિતી હોત તો કદાચ હંસાબેનના પરિવારજનોને તેમને લઈ એકથી બીજી હોસ્પિટલમાં ભટકવું ના પડ્યું હોત. હોસ્પિટલોનું એકબીજા સાથે કોર્ડિનેશન ના હોવાના કારણે દર્દીને ગમે તે હોસ્પિટલમાં જવાનું કહી દેવાય છે, અને ત્યાં બેડ ખાલી ના હોવાથી દર્દીને રઝળપાટ કરવા ફરજ પડે છે.
કોરોનાનો દર્દી કોર્પોરેશનની હોસ્પિટલમાં જાય ત્યારે જો બેડ ખાલી ના હોય તો તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરાય છે. જો ત્યાં પણ બેડ ખાલી ના હોય તો દર્દીને પાછા કોર્પોરેશનની હોસ્પિટલમાં જવું પડે છે, અને ત્યાંથી તેને બીજી કોઈ હોસ્પિટલનો લેટર અપાય છે. જો દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરુર હોય, અને હોસ્પિટલમાં તે ખાલી ના હોય ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે. દર્દીની હાલત આમ પણ ખરાબ હોય છે, તેવામાં જો તેને સમયસર વેન્ટિલેટર પર ના મૂકાય તો તબિયત વધુ બગડતી જાય છે. દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા હવે જાગેલું તંત્ર કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી આપતી એપ બનાવી રહ્યું છે.