રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. અમે વાયદા નહિ, શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે અને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે. બીજી તરફ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયા છે.