અમદાવાદ શહેરની શાહીબાગ ખાતેની રાજસ્થાન હોસ્પિટલની ગંભીર બેદરકારી અંગે પોલીસ ફરિયાદ તથા કુલ રૂા. 77 લાખનો અભૂતપૂર્વ દંડ. કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 અંતર્ગત શહેરની 50 થી વધુ ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરવામાં આવેલ છે. હસ્તગત કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. હોસ્પિટલ દ્વારા તા. 22-05-2020 થી અ.મ્યુ.કો. સાથે જરૂરી એમ.ઓ.યુ. પણ કરવામાં આવેલ છે.
એમ.ઓ.યુ. અંતર્ગત આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કુલ બેડનાં 50% જેટલા બેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતાં કોરોના વાયરસનાં દર્દીઓ માટે અનામત રાખવાનાં થાય છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતાં દર્દીઓની સારવાર અનામત રાખેલ આ બેડ ઉપર કરવાની હોય છે. પરંતુ રાજસ્થાન હોસ્પિટલ દ્વારા એમ.ઓ.યુ. અંતર્ગત અ.મ્યુ.કો. ને ફાળવવાનાં થતાં બેડ ફાળવેલ નહીં. તેમજ અ.મ્યુ.કો. દ્વારા તા.18-06-2020 ના રોજ મોકલવામાં આવેલ કોરોનાના દર્દી હરિશભાઇ કડીયાને રાજસ્થાન હોસ્પિટલનાં કથળી ગયેલા મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે સમયસર હોસ્પિટલમાં દાખલ નહીં કરવાથી તેઓનું
અકાળે મૃત્યુ થવા પામેલ હતું.
નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા WRIT PETITION (PIL) NO.42 OF 2020, અન્વયે તા.19-06-2020 ના રોજ કરેલ કોમન ઓરલ ઓર્ડરમાં પણ રાજસ્થાન હોસ્પિટલની ગંભીર બેદરકારીના લીધે દર્દી હરિશભાઇ કડીયાને સમયસર હોસ્પિટલમાં દાખલ નહીં કરવાને કારણે અકાળે મૃત્યુની તથા અ.મ્યુ.કો.માટે અનામત રાખવાનાં થતાં બેડ સુપ્રત નહીં કર્યાની નોંધ લઈ સંબંધિત જવાબદારો સામે સખત પગલા લેવા તાકીદ કરેલ હતી. જરૂરી કાર્યવાહીને અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા IPC ની કલમ ૩૪, ૧૨૦-બી, ૩૦૪-એ ના ગુના અન્વયે ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ ની કલમ ૧૫૪ હેઠળ આજ રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.