અમદાવાદઃ પોતાને કલ્કિ અવતાર (ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર) હોવાનો દાવો કરનાર ગુજરાત સરકારના એક પૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફરે પોતાની ગ્રેજ્યુટી વહેલી તકે આપવાની માંગણી કરી છે અન્યથા તે પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને આ વર્ષ દુનિયામાં ગંભીર દુકાળ લાવી દેશે. કલ્કી અવતાર હોવાનો દાવો કરીને લાંબા સમય સુધી કાર્યાલયમાં અનુપસ્થિત રહેવાના કારણે ફેફરને સરકારી સેવામાં સમય પહેલા જ સેવાનિવૃત્તિ આપી દીધી હતી.
જનસંશાધન સચિવને લખેલા પત્રમાં રમેશચંદ્ર ફેફરે પત્રમાં લખ્યું છે કે, ”સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલા લોકોને સરકાર પગાર ચૂકવે જ છે.”
વધુમાં તેને પત્રમાં લખ્યું છે કે, ”હું કલ્કિ અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષ થી સતત સારો વરસાદ ભારતમાં થાય છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલો નથી. છેલ્લા 20 વર્ષના સારા વરસાદને કારણે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં સતત રાક્ષસો સરકારમાં બેસીને અન્યાય કરે છે. આથી સમગ્ર વિશ્વમાં હું પાણીનો, બરફનો અને વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું.”
રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે, “કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,”આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.
કોણ છે આ રમેશચંદ્ર ફેફર?
રમેશચંદ્ર ફેફર રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં અધિકારી રહી ચૂક્યા છે. વડોદરામાં અધિક્ષક ઈજનેર તરીકે તેમને 1.25 લાખ રૂપિયા પગાર ચુકવવામાં આવતો હતી. 2018માં તેમને સરકારે નોટિસો ફટકારી હતી. તેનું કારણ હતું કે, તે ઓફિસમાં હજાર રહેતા નહોતા અને ઘરે સાધના જ કરતા હતા. હાલ નિવૃત છે અને સરકાર પાસે જૂનો લેવાનો પગાર અને ગ્રેજ્યુટીની માંગ કરી રહ્યો છે.