19 મેના દિવસે સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવી રહેલા 56 વર્ષના કેથરિન ક્રિશ્ચિયનનું કોવિડ 19ના કારણે અવસાન થયું હતું. લગભગ છેલ્લા 24 વર્ષથી અસારવા સિવિલ હોસ્પિટલ તેમના માટે બીજું ઘર હતું. તેઓ તેમના રિટાયર્ડમેન્ટની નજીક હતા. થોડા અઠવાડિયા પહેલા તેમણે પોતાનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. કારણ કે તેઓ પતિ સાથે ઈઝરાયલ અને તુર્કીની ટ્રિપ કરવા માગતા હતા. જ્યાં તેમનો નાનો દીકરો અને તેની પત્ની રેસ્ટોરાં ચલાવે છે. કેથરિનના પતિ AMTSના રિટાયર્ડ કર્મચારી છે. પરંતુ 11 મેના દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 19 મેના દિવસે તો તેમણે અંતિમ શ્વાસ લીધા.
આ કપરા સમયમાં કામ કરવું તે કેથરિન માટે અઘરું નહોતુ. સિવિલ હોસ્પિટલના તેમના સહકર્મીઓના જણાવ્યા પ્રમાણે, કેથરિન સ્વભાવે ખૂબ જ દયાળું હતા. જ્યારે હોસ્પિટલમાં દાખલ કોઈ દર્દીનો પરિવાર તેમનું ધ્યાન ન રાખે ત્યારે તેઓ સામેની તેમની સંભાળ લેતા હતા. ‘તેઓ દર્દીઓને હંમેશા કહેતા કે, જ્યાં સુધી તમે હોસ્પિટલમાં છો અને સારવાર લઈ રહ્યા છો, ત્યાં સુધી તમે મારો પરિવાર છો’, તેમ એક દશકા સુધી કેથરિન સાથે કામ કરનાર એક નર્સે કહ્યું. સિસ્ટર કેથરિન આ પહેલા 1988થી 1996 સુધી જામનગરની જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા. અહીંયા તેમણે બે દશકા સુધી કામ કર્યું. કેથરિનના મોટા દીકરા કેનિલે જણાવ્યું કે, 20 વર્ષ સુધી તેમણે મહેમદાબાદથી અમદાવાદ સુધી અપડાઉન કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી તેઓ અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ‘મારી માતા કામને લઈને ખૂબ જ સજાગ હતી. તે દર્દીઓનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી’. ‘જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે કોવિડ-19 આઈસોલેશન બેડ્સ તૈયાર કરવામાં મારી માતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમને ફ્લૂ મહામારીનો પણ અનુભવ હોવાથી અમને સાવચેતી રાખવા માટે કહ્યું હતું’, તેમ કેનિલે કહ્યું. કેથરિનને 26 એપ્રિલથી 3 મે સુધી કોવિડ-19 હોસ્પિટલના વોર્ડ A-1માં જવાબદારી સોંપાઈ હતી. તેમણે 3 દિવસનો બ્રેક લીધો હતો અને બાદમાં ગાયનેકોલોજી વોર્ડમાં ડ્યૂટી અપાઈ હતી. કોવિડ 19 ફેલાયો તે પહેલા તો ગાયનેકોલોજી વોર્ડમાં ફરજ બજાવતા હતા. તેમણે બાળકો માટેના વોર્ડમાં પણ કામ કર્યું છે. તેમની સાથે કામ કરી ચૂકેલા સહકર્મીઓએ જણાવ્યું હતું કે, તેઓ સ્વચ્છતામાં માનતા હતા અને ઘણા જુનિયર નર્સના સારા મિત્ર પણ હતા. 19 મેના દિવસે જ્યારે તેમનું નિધન થયું ત્યારે હોસ્પિટલના સ્ટાફને આંખમાં આંસુ સાથે તેમને વિદાય આપી હતી. ‘કોરોના વોરિયર’ તરીકે સ્ટાફના સભ્યો અને હોમ ગાર્ડના કર્મચારીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.