પાટીદાર સમાજને અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથિરીયાને મુક્ત કરવાની માગણીઓ સાથે આમરણ અનશન કરી રહેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18 મો દિવસ છે. હાર્દિક પટેલ ફરી એક વખત અમદાવાદના એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે અનશન પર બેસી ગયા છે. પહેલા સોલા સિવિલ અને ત્યાર બાદ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અનશન જારી રાખતા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે હવે નવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલને મળવા માટે વિરોધ પક્ષોના અનેક નેતાઓ પણ આવી રહ્યા છે. જે ક્રમમાં આજે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને પ્રકાશ આંબેડકર પણ હાર્દિકની મુલાકાત કરે તેવી શક્યતા છે. બીજી તરફ પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ હાર્દિક પટેલની ત્રણ માંગઓને લઇને મુખ્યમંત્રી અથવા તો પ્રધાનો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકને પારણા કરી લેવા મનાવે તેવા પણ મીડિયા રિપોર્ટ્સ છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગી પણ આજે હાર્દિકને મળે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સ્વામી અગ્નિવેશ, આચાર્ય પ્રમોદજી, ડીએમકે નેતા એ. રાજા, શરદ યાદવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ સહિત પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓ હાર્દિક પટેલની મુલાકાત કરી ચુક્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.