અમદાવાદ જીલ્લા વિસ્તારમાં પહેલેથી કોરોના કાબુમાં રાખવામાં જીલ્લા વહીવટી તંત્ર સફળ રહ્યું હતું. તેની પાછળ અલગ અલગ માધ્યમથી કોરોના કેસ કાબુમાં રાખવા વેક્સિનેશન અને સારવાર સહિતની બાબતમાં કાળજી સાથે કામગીરી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ યોજના ચલાવવામાં આવી હતી તે માધ્યમથી અનેક લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ વાવાઝોડાની સર્વેની કામગીરી ચાલી રહી છે બીજી તરફ કોરોના વકરે નહિ સાથે જ મ્યુકરમાઈકોસીસના કેસ પણ વધે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે.રાજ્યમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હતો એવામાં ગ્રામિણ વિસ્તારમાં લોકો કેસ કાબુમાં લેવા માટે સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કર્યું હતું. અમદાવાદ જીલ્લા વિસ્તારની જો વાત કરીએ તો ગ્રામિણ વિસ્તારમાં કોમ્યુનીટી સેન્ટર કે શાળામાં ૫ થી ૧૦ બેડના સેન્ટર શરુ કરવામાં આવ્યા હતા. જીલ્લા વિસ્તારના ૪૬૬ ગામડામાં ૨૯૨૪ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેમાં સરેરાશ એક સેન્ટર પર 20 લોકો આઇસોલેટ થયા હોવાનું સામે આવ્યું છે. આ અભિયાન ગત 20 તારીખ સુધી શરુ રાખવામાં આવ્યું હતું જે દરમિયાન અનેક લોકો એ સેન્ટર માં આઈસોલેટ થયા હતા. હાલમાં આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.
નહિ માત્ર શહેરમાં પરંતુ ગ્રામિણ વિસ્તારમાં પણ મ્યુકરમાઈકોસીસ પ્રવેશી ચુક્યો છે. અમદાવાદ જીલ્લા વિસ્તારમાં 8 કેસ નોંધાયા છે. 8 પૈકી ૩ દર્દીની સારવાર પૂર્ણ થઇ ચુકી છે જયારે હજી પણ ૫ દર્દી સારવાર લઇ રહ્યા છે. ગંભીર બીમારી હવે ગ્રામ્ય વિસ્તારમાં આવતા ફફડાટ ફેલાયો છે 8 પૈકી ૫ કેસ સાણંદ ૧ વિરમગામ અને ૧ ધોળકા માં સામે આવ્યો છે. હાલમાં ડોક્ટર આ બીમારીને લઈને ચિંતામાં છે. પરંતુ રાહતની વાત એ છે કે જે પણ કેસ આવ્યા છે એ મોટી ઉમરના લોકોમાં આવ્યા છે બાળકોમાં હજી ફેલાયો નથી ડોક્ટર કહી રહ્યા છે કે અત્યારે જે કેસ આવ્યા છે તે કોરોના પોઝીટીવ દર્દીઓમાં જોવા મળ્યા છે જેમાં જેને વધારે સ્ટીરોઇડ આપવામાં આવ્યું હોય કે પછી આધારે ઓક્સિજન આપવામાં આવ્યું હોય તેવા દર્દીને મ્યુકર માઈકો સીસ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ જીલ્લામાં હવે કોરોનાની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો મોટા પ્રમાણમાં ઓક્સિજન અને વેન્ટીલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો હાલમાં ગ્રામ્યમાં કોરોનાની ગંભીર અસર વાળા 55 દર્દી જ છે તો ૩૬૮ દર્દી હોમ કોરન્ટાઇન છે. આમ સંપૂર્ણ સ્થિતિ કાબુમાં હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. તો બીજી તરફ હજી પણ વેક્સીનેશનને લઈને સમસ્યા સામે આવી રહી છે. ગ્રામ વિસ્તારમાં વેક્સીન માત્ર 45 અને તેનાથી વધુ ઉમરના લોકોને જ આપવામાં આવી રહી છે. 18 વર્ષથી ઉપરના લોકો માટે હજી રાજ્ય સરકારે મંજુરી નહિ આપતા તેને વેક્સીન નથી આપવામાં આવી રહી. જીલ્લા વિસ્તારમાં 20 સેન્ટર પર વેક્સીનેસન કામગીરી ચાલી રહી છે જેમાં એક સેન્ટર પર ૧૩૦ લોકોને એટલે કુલ ૨૬૦૦ લોકોને દરરોજ વેક્સીન આપવામાં આવી રહી છે જે ટાર્ગેટ પૈકી ૯૦ ટકા લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.