Bangladeshi illegal immigrants in Surat: રાજ્યભરમાં કડક કાર્યવાહી કરવાનો સંદેશો આપ્યો
Bangladeshi illegal immigrants in Surat: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી ફરી એકવાર તેજ બની છે. સુરત શહેર પોલીસ દ્વારા ગઈ કાલથી સતત ચાલી રહેલા વિશેષ દરોડા અંતર્ગત વધુ 119 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડવામાં આવ્યા છે. તેના પહેલાં 212 નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
પોલીસની આ કાર્યવાહી ‘ઓપરેશન બાંગ્લાદેશી-2’ના ભાગરૂપે ચાલી રહી છે, જે છેલ્લા ચાર દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં વ્યાપક પધ્ધતિએ અમલમાં મૂકાયું છે. ખાસ કરીને સુરત શહેરના ચોક, ભેસ્તાન, ઉન અને સચિન જેવા વિસ્તારોમાં આ ઘૂસણખોરો મજૂરીના કામે લાગેલા હતા અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “આ પ્રકારની ઘૂસણખોરી દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર છે. પોલીસ અને સુરક્ષા દળો આ બાબતે સંપૂર્ણ રીતે સતર્ક છે અને ગેરકાયદેસર વસવાટ કરનાર વિદેશી નાગરિકો સામે કોઈ નરમાઈ રાખવામાં નહિ આવે ..”
સુરત શહેરના JCP (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ઘણી જગ્યાએ રહેતા લોકો પાસે ભારતીય ઓળખના નકલી દસ્તાવેજો હતા. કેટલીક મહિલાઓએ પણ નકલી આધારકાર્ડ બતાવ્યા હતા, જેના આધારે તેઓએ ભારતીય નાગરિકતાનો દાવો કર્યો હતો. હાલ આ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.
પકડાયેલા તમામ વિદેશીઓની બાયોમેટ્રિક માહિતી સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી રહી છે જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી ઘૂસવાનો પ્રયાસ કરે તો ઓળખી શકાય. આવતીકાલથી તેમને પાછા બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પોલીસનાં ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરત શહેર ઉપરાંત સુરત ગ્રામ્ય વિસ્તારમાં 9 અને ભરૂચ જિલ્લામાં 46 બાંગ્લાદેશી નાગરિકોને પણ પકડવામાં આવ્યા છે. તમામ સામે વિદેશી નાગરિક અધિનિયમ હેઠળ કાર્યવાહી ચાલુ છે.
આ પ્રકારના ઓપરેશનો માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની રોજગારી, આવાસ અને આરોગ્યસંચાલન સેવાઓને બચાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત કોઈ પણ રીતે ગેરકાયદેસર ઘૂસણખોરી સહન કરશે નહીં.