Bharuch MGNREGA fraud: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તૈયાર: DySP કક્ષાના અધિકારીઓને મળશે તપાસ માટે જવાબદારી
Bharuch MGNREGA fraud: દાહોદ બાદ હવે ભરૂચમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તપાસ માટે ખાસ તપાસ ટીમ બનાવવાની તૈયારી ચાલી રહી છે જેમાં DySP કક્ષાના અધિકારીઓને કામ સોંપવાની સંભાવના છે. ભરૂચ જિલ્લામાં 58 ગામોમાં અંદાજે 7 કરોડ 30 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારની શક્યતા છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં માત્ર જિલ્લા સ્તર જ નહીં, પણ રાજ્ય સ્તર સુધી મંત્રીઓ, સેક્રેટરીઓ અને કમિશ્નરો સહિતની તમામ સહભાગી હોય છે. તેઓએ જણાવ્યું કે સામાન્ય કર્મચારી જ ફસાવવામાં આવે છે, જ્યારે ઉપરથી સંપૂર્ણ સેટિંગ હોય છે.
આ મામલે મળતી માહિતી મુજબ, ભરૂચના મનરેગા યોજનાના પ્રાયોજક અધિકારી પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ ફરિયાદ કરી હતી કે અમોદ, જંબુસર અને હાંસોટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. બે એજન્સીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ મટિરિયલની ખરીદીમાં 60-40 નો રેશિયો તોડી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા અને વધુ મટિરિયલ બતાવીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. મુરલીધર એન્ટરપ્રાઇઝને 13,05,676 અને જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે, જે કુલ 19,64,574 રૂપિયા થાય છે.