રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં જ સરકાર એક્શનમાં આવી છે. જેમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન તોડી મોટુ નિવેદન આપ્યું છે. હવે રાજ્ય સરકાર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપશે. અત્યાર સુધી ફક્ત સરકારી શાળાઓના બાળકો માટે ગુજરાતી ભાષામાં ટી.વી. ચેનલો દ્વારા શિક્ષણ આપાતું હતું પરંતુ હવે તમામ ખાનગી શાળાઓના ગુજરાતી અને અંગ્રેજી શાળાના બાળકો પણ ટી.વી. ચેનલ મારફતે શિક્ષણ લઈ શકશે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો તત્કાળ અભ્યાસક્રમ તૈયાર કરવા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચના આપી છે. આમ, હવે રાજ્ય સરકાર કોરોના કાળ દરમિયાન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે.
હું વાલીઓનો વાલી છું, રાજ્ય સરકાર હવે ખાનગી શાળાના બાળકોને પણ શિક્ષણ આપશે : ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા
ઓનલાઇન શિક્ષણ બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓને ફી નહી ઉઘરાવવા બાબત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની મનાઈ ફરમાવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે અને તેઓ કેવી રીતે ભણશે તેવા પ્રશ્નો વાલીઓમાં ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્નના જવાબમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હું રાજ્યના તમામ વાલીઓનો વાલી છું. કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને તેમને શિક્ષણ મળી રહે એ માટે શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. જ્યારે અત્યાર સુધી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારે હવે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સંકટ સમયમાં રાજ્ય સરકારની મદદથી યુ ટ્યુબ અને સરકારી ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે.
શાળા સંચાલકોની મનમાની સામે સરકારે લાલ આંખ કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે 24 કલાકની અંદર જ મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા માત્ર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જ ઓનલાઈન શિક્ષણ અપાતું હતુ. રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે નહીં. તમામને શિક્ષણ મળશે, જ્યારે નીટ, ગુજકેટ અને જેઇઇના વિધાર્થીઓને બાયસેગ મારફતે શિક્ષણ આપવામાં આવશે.