ગાંધીનગર- દિલ્હીમાં યુપીએ સરકાર હોય કે એનડીએ સરકાર, ગુજરાતને હંમેશા નુકશાન થતું આવ્યું છે. મોસાળમાં જમણ અને મા પિરસતી હોવા છતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વળતર તરીકે 7099 કરોડ રૂપિયા ઓછા આપ્યાં છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આંકડા આપતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કરવેરાની વસૂલી છે તેવી રકમ પૈકી રાજ્ય સરકારને મળવાપાત્ર રકમ 2017-18માં 23817.86 કરોડ રૂપિયા છે જ્યારે 2018-19માં 27553.38 કરોડ રૂપિયા થતા હતા. આ બન્ને વર્ષોમાં ગુજરાત સરકારે કરવેરા પેટે લોકો પાસેથી 51370 કરોડ ઉઘરાવ્યા હતા.
સરકારે ઉઘરાવેલી રકમ પૈકી ગુજરાત સરકારને કેટલી રકમ મળી છે તેવા પૂછાયેલા પૂરક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પાછલા નાણાકીય વર્ષમાં ગુજરાત સરકારને 20782.29 કરોડ રૂપિયા તેમજ છેલ્લા નાણાકીય વર્ષમાં 23489.32 કરોડ રૂપિયા આપ્યાં છે. એટલે કે 7099 કરોડ રૂપિયા કરતાં વધુની રકમની ગુજરાતને ખોટ ગઇ છે.
ઓછી રકમ મળી હોવાના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્રીય નાણાપંચના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણ પ્રમાણે રાજ્ય સરકારને કેન્દ્રીય કરવેરાની ખરેખર વસૂલ રકમ ધ્યાને લઇ તેના હિસ્સા પેટે મળવાપાત્ર રકમ ફાળવી આપવામાં આવે છે. સરકારનો દાવો છે કે નિયમ પ્રમાણે ગુજરાતને રકમ મળે છે પરંતુ હકીકતમાં વસૂલ કરેલા કરવેરાની સરખામણીએ મોટી રકમનું રાજ્યને નુકશાન થાય છે.