ગાંધીનગર- ગુજરાતમાં બાળલગ્ન થાય છે તે હકીકત છે પરંતુ સરકાર પગલાં લઇ શકતી નથી, કારણ કે છીંડે ચઢ્યો તે ચોર… એ ઉક્તિ પ્રમાણે કોઇ ફરિયાદ કરે તો બાળલગ્ન અટકી જાય છે પરંતુ લગ્ન થયા પછી કાયદા પ્રમાણે કામ થઇ શકતું નથી. મોટાભાગના કેસોમાં બાળલગ્ન થઇ ચૂક્યાના ચાર-પાંચ વર્ષ પછી ફરિયાદ થઇ હોય છે અને એ સમયે બાળલગ્ન કરનાર યુગલ પુખ્તવયનું બની ચૂક્યું હોય છે.
બાળલગ્ન કરવા એ ગુનો છે છતાં કાયદાનું ઉલ્લંઘન કરતાં એવા પરિવારો મોજૂદ છે કે જેમણે કાયદો તોડીને બાળલગ્નો કર્યા છે. એકલા અમદાવાદમાં 20,000 કરતાં વધુ કિસ્સા એવા છે જેમાં બાળવિવાહ થયાં છે. આજે તેમની સામે પગલાં લઇ શકાય તેમ નથી, કેમ કે આ યુગલોની ઉંમર વધી ચૂકી છે અને બાળલગ્ન થયાના કોઇ પુરાવા નથી.
રાજ્યમાં ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં બાળલગ્નના કિસ્સા વધી રહ્યાં છે. રાજ્યના પ્રમુખ ચાર શહેરોમાં 15 વર્ષ કે તેથી ઓછી વય ધરાવતી કિશોરીઓએ લગ્ન કર્યાના દાખલા બન્યા છે. વસતી ગણતરીની સાથે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ત્રણ અને ચાર ના ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન પ્લાનના દિશા નિર્દેશોના એક હિસ્સામાં આપવામાં આવેલા આંકડા પરથી ખબર પડે છે કે અમદાવાદમાં મહિલાઓની સંખ્યા વધી છે કે જેમણે 15 વર્ષની ઉંમરે બાળવિવાહ કર્યા છે.
અમદાવાદમાં 20265 મહિલાઓ એવી છે કે જેમના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલાં થઇ ગયા છે. સુરતમાં 10709, વડોદરામાં 7673, ખેડા 5665 અને રાજકોટમાં 6225 કિશોરીઓના લગ્ન 15 વર્ષની વય પહેલાં થઇ ચૂક્યાં છે. આ શહેરોમાં 15 થી 19 વર્ષની આયુમાં આ સંખ્યા વધુ જોવા મળે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળ વિવાહ રોકવાની આવશ્યકતા છે. કહેવાય છે કે ગુજરાતમાં પ્રત્યેક 77મી યુવતિના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલાં થઇ ચૂક્યાં છે.
ગુજરાતમાં 2009 થી 2014 સુધા સમયગાળામાં 659 બાળવિવાહની ફરિયાદો નોંધવામાં આવી હતી જે પૈકી માત્ર 15 કિસ્સામાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે જે કિસ્સા નોંધાતા નથી તેવા બાળલગ્નોના પ્રમાણ સૌથી વધુ હોવાની શંકા છે. જો કે આવા કિસ્સાઓમાં ફરિયાદ થતી ન હોવાથી બાળવિવાહના સાચા આંકડા સામે આવતા નથી.
સમાજસુધારકો માને છે કે બાળવિવાહ અટકાવવા માટે સરકારના પ્રયાસો ટૂંકા પડી રહ્યાં છે, કેમ કે રાજ્યમાં એવી જ્ઞાતિઓ છે કે જેઓ બાળ લગ્નને વધારે ઉત્તેજન આપે છે છતાં સરકાર તેમની સામે પગલાં લઇ શકતી નથી. આ સમાજના આગેવાનો બાળલગ્નને પરંપરાનું નામ આપે છે. એનએફએચએસ-4ના રિપોર્ટ પ્રમાણે ગાંધીનગરમાં 50.4 ટકા અને ખેડામાં 41.7 ટકા કિસ્સામાં 20 થી 24 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં થઇ ચૂક્યાં છે.
ગુજરાતમાં છેલ્લી વસતી ગણતરી પ્રમાણે બાળલગ્નો થયાં હોવાના કુલ 11,500 કિસ્સા સામે આવ્યા હતા. બાળલગ્નની સૌથી મોટી કમજોરી એવી છે કે બાળકનો જન્મ સરખી રીતે થતો નથી અને કેટલાક કિસ્સામાં નાની ઉંમરમાં મહિલા વિધવા બની જતી હોય છે તેથી સરકારે કાયદો બનાવ્યો છે પરંતુ આ કાયદામાં છટકબારીનો લાભ લઇને તેવા પરિવારો કાયદો તોડી રહ્યાં છે.
બીજી તરફ બાળલગ્ન થતાં અટકાવવા માટે કોઇ વ્યક્તિ ફરિયાદ કરતાં પણ ડરે છે તેથી બાળલગ્નો ચોપડે નોંધાતા ઓછા થયાં છે. મહિલા અને બાળ વિકાસના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં બાળલગ્ન થતાં અટકાવવા હોય તો સરકારે બાળલગ્નના કાયદામાં સુધારો કરવાની અત્યંત આવશ્યકતા છે.