CM Bhupendra Patel : ગુજરાત સરકારનો જનસુખાકારી અભિગમઃ નગર સેવાસદન માટે નગરપાલિકાઓને મળતી સહાયમાં મોટો વધારો
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નવું નગર સેવાસદન ઊભું કરવામાં સહાયરૂપ બને તે માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમમાં મહત્ત્વનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયના પગલે નાગરિકોને સુવિધાસભર અને સરળ સેવાઓ મળવી શક્ય બનશે.
લિફ્ટ અને સોલાર પેનલ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ સહાય રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લિફ્ટ સહિતની સુવિધાઓ હશે. સાથે જ વીજળી બચત અને ઊર્જા આત્મનિર્ભરતા માટે સોલાર સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવશે.
વરસાદી પાણીના સંચય માટે ખાસ દિશાનિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ‘કેચ દ રેઈન’ અભિયાનને વધુ વેગ આપવા નગર સેવાસદનમાં વરસાદી પાણીના સંચય માટેની સિસ્ટમ સ્થાપિત કરવા પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
વર્ગ અનુસાર નગરપાલિકાઓને સહાય રકમ
મુખ્યમંત્રીએ જાહેર કરેલા આ નિર્ણય મુજબ નગરપાલિકાઓને વર્ગ પ્રમાણે નીચે મુજબની સહાય મળશે:
‘અ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 6 કરોડ
‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડ
‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ
‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ
આ પહેલાં મળતી સહાય રકમની તુલનાએ હવે ત્રણથી ચાર ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
હાલના નગર સેવાસદનો માટે રિપેરિંગ અને વિસ્તરણની સહાય
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, જે નગરપાલિકાઓ પાસે હાલ નગર સેવાસદન ઉપલબ્ધ છે અને તેમાં રિપેરિંગ કે વિસ્તરણ જરૂરી છે, તેમને નવા નગર સેવાસદન માટે મળનારી સહાય રકમનો 25 ટકા હિસ્સો આ હેતુ માટે પણ આપવામાં આવશે.
રાજ્યમાં વર્ગવાર નગરપાલિકાઓની સંખ્યા
ગુજરાતમાં હાલમાં:
‘અ’ વર્ગની 34,
‘બ’ વર્ગની 37,
‘ક’ વર્ગની 61
અને ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓ કાર્યરત છે.
રાજ્ય સરકારનો આ જનસુખાકારી નિર્ણય નગરપાલિકાઓને આધુનિક અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.