કોલેજોમાં એડમિશનના નામે ચાલતી લાલિયાવાડી સામે નર્મદ યુનિવર્સિટીએ લાંલ આંખ કરી છે. મેરીટ જાહેર ન કરીને આડેધડ ડોનેશન ઉધરાવતી કોલેજોએ હવે પોતાની કોલેજના પ્રવેશ અંગેની તમામ જાણકારી અને મેરીટ લિસ્ટ યુનિ. તંત્રને ઈ-મેઈલ મારફતે મોકલવાનું રહેશે. નર્મદ યુનિવર્સિટીના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતની મોટા ભાગની કોલેજોમાં એડમિશનના નામે છેલ્લા 3 વર્ષથી ચાલતા મસમોટા કાળા વેપાર પર પડદો પડી જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત દ્વારા શરૂ પ્રથમ વર્ષ 2020-21 માટે શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. વિદ્યાર્થીઓ હાલ કોલેજ અને અભ્યાસક્રમની પસંદગી કરી રહ્યા છે પરંતું કટ ઓફ મેરીટ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ આડેધડ પ્રવેશ લઈ રહ્યા છે. ઉપરાંત બીજા અને ત્રીજા વર્ષમાં કોલેજ ટ્રાન્સફર મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પણ મેરીટ અંગેની કોઈ જાણકારી ન મળતા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યની અન્ય તમામ કેન્દ્રિય પ્રવેશ સમિતિઓએ ગત વર્ષના કોલેજ અને અભ્યાસક્રમ પ્રમાણે કટ ઓફ જાહેર કર્યા છે. જ્યારે નર્મદ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રવેશ સમિતિ દ્વારા કટ ઓફ માર્કસ જાહેર કરવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે થઈ રહેલી સમસ્યા અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા યુનિ. તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, જેના પરીણામ સ્વરૂપ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરીને દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોને પોતાના ગયા વર્ષની પ્રવેશ પ્રક્રિયાની ડીટેઈલ અને ટ્રાન્સફર માટેની અરજીઓ મોકલવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં ગયા વર્ષના કટ ઓફ માર્કસ જાહેર ન કરાતા વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ટકાવારી ધરાવતી કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. બીજી તરફ કોલેજ તંત્ર દ્વારા પણ ડોનેશન ઉધરાવીને આડેધડ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. પાછળથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસે સંચાલકો દ્વારા ડોમેશનનું દબાણ કરવામાં આવે છે તેવી પણ ફરીયાદો ઉઠે છે. જો કે યુનિ. દ્વારા મેરીટ જાહેર કરવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓની તમામ સમસ્યા દૂર તી જાય તેવી શક્યતા છે.