ગુજરાતમાં માનવ તસ્કરી કરતી ટોળકી સક્રિય બની રહી છે. જેમાં ખાસ કરીને સગીરાઓનું અપહરણ કરીને મહારાષ્ટ્રમાં વેચી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. મણિનગરમાંથી સગીરાનું અપહરણ કરનારી મહિલા અને યુવકે ૫૦થી વધુ સગીરાને વેચી દીધી હોવાની શંકા આધારે પોલીસ તપાસ કરી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષો પહેલા કાગડાપીઠ વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને શોધવામાં સીબીઆઇ પણ નિષ્ફળ નીવડી છે.
ગુજરાતમાંથી દિન પ્રતિદિન સગીરાઓ ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે માનવ તસ્કરી કરતી ટોળકી દ્વારા સગીરાઓનું અપહરણ કરીને વેચી દેવામાં આવતી હોવાની શંકા સેવાઇ રહી છે, ગઇકાલે ઇસનપુર પોલીસે માયા અને પ્રકાશ મરાઠી નામના શખ્સોની ધરપકડ કરી હતી જેમાં તેઓએ મણિનગરમાંથી એક સગીરાનું અપહરણ કરીને ત્રણ વ્યકિત સાથે પરણાવી હતી અને લાખો રૃપિયા પડાવ્યા હતા.
પોલીસે આજે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને આ ટોળકીએ અનેક સગીરાઓનું અપહરણ કરીને વેચી દીધી હોવાની શંકા વ્યક્ત કરી છે. બીજીતરફ અપહૃૂત સગીરાના જણાવ્યા મુજબ તેણીનું અપહરણ કરાયા બાદ નિકોલ રિંગ રોડ પરના મકાનમા ગોંધી રાખી હતી ત્યારે અન્ય ત્રણ સગીરા હોવાનું વાત કરતાં પોલીસ પણ હરકતમાં આવી છે. જો કે પોલીસ કમિશર કચેરી દ્વારા અમદાવાદમાં કેટલી સગીરા ગુમ થઇ હતી અને કેટલી સગારાઓન શોધવામાં આવી છે તેની માહિતી ઉપલબ્ધ નહી હોવાનું કહ્યું હતુ.
બીજીતરફ કાગડાપીઠ વિસ્તારમાંથી પાંચ વર્ષ પહેલા યુવતી લાપત્તા થઇ હતી જેને અમદાવાદ પોલીસ અને સીઆઇડી શોધી શકી ન હતી, જેથી તપાસ સીબીઆઇન સોંપવામાં આવી હતી જે કેસમાં સીબીઆઇ પણ શોધી શકી નથી.