ગાંધીનગર: હવે ગુજરાતમાં નાથૂરામ ગોડસેની પ્રતિમા લગાવવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. સોમવારે હિન્દુ સેના દ્વારા જામનગરમાં ગોડસેની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જોકે, ગોડસેની મૂર્તિને કોંગ્રેસ દ્વારા તોડી નાંખવામાં આવી હતી.
ગાંધીના ગુજરાતમાં જ ગાંધીના હત્યારાની મૂર્તિની સ્થાપના કરવાના કારણે વિવાદ ઉભો થઈ ગયો છે. તેમાં પણ ગાંધી જીના વતનથી માત્ર 100 કિલોમીટર દૂર ગોડશેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
દેશમાં મહત્મા ગાંધી અને સ્વતંત્ર સેનાનીઓની મજાક ઉડાવવામાં લોકોને કોઈ જ શરમ સંકોચ રહ્યો નથી. એક તરફ કંગના રનૌત જેવી બોલીવૂડ એક્ટર આઝાદી મળવાને લઈને બફાટ કરે છે તો બીજી તરફ ગાંધીના ગુજરાતમાં તેમના હત્યારાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. ખરેખર દેશ બદલાઈ રહ્યો છે.
મહાત્મા ગાંધીની હત્યા કેસમાં નાથૂરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તે પછી 15 નવેમ્બર 1949માં નાથૂરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના જામનગરમાં ગોડસેની પ્રતિમા લગાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે સમસ્ત ગુજરાતીઓ માટે શરમજનક છે.
ઉલ્લેખનિય છે કે, હિન્દૂ સેનાએ 8 ઓગસ્ટે જ નાથૂરામ ગોડસેની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, સરકાર તરફથી તેમના વિરૂદ્ધ કોઈ જ પગલા પણ લેવામાં આવ્યા નહતા. સ્થાનિક તંત્ર દ્વારા મૂર્તિ લગાવવાની જગ્યા આપવામાં ના આવતા જામનગરના હનુમાન આશ્રમમાં આ મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી.
ગાંધીના હત્યારાની પ્રતિમા સ્થાપિત જોઇ કોંગ્રેસના નેતા આશ્રમ પહોચ્યા હતા અને તેમણે ગોડસેની પ્રતિમાને તોડી નાખી હતી. જામનગરના કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજા અને તેમના સાથીઓએ પ્રતિમાને તોડી નાખી હતી. કોંગ્રેસના નેતાઓએ મૂર્તિને તોડતી વખતે પોતાના ગળામાં ભગવો પટ્ટો નાખ્યો હતો.