દક્ષિણ ગુજરાતમાં રવિવારે કોરોના નવા 302 કેસ નોંધાયા હતા. દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 162 કેસ સુરત શહેર અને જિલ્લામાં 86 કેસ મળી આવ્યા હતા. જ્યારે નવસારીમાં 7, તાપીમાં 5, વલસાડમાં 6, દા.ન.હ.માં 20 અને દમણમાં 16 દર્દી દેખાયા હતા. ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં કોરોનાના 300થી વધુ કેસ નોંધાયા હતા.
સુરત શહેરમાં કોરોનાની ચપેટમાં આવેલા વધુ 3 દર્દી મોતને ભેટયાં હતાં. શહેરમાં સિવિલમાં દાખલ ગોડાદરાનો 62 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાનો 63 વર્ષીય વૃદ્ધ અને ભટાર રોડના 92 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે સુરત જિલ્લામાં બારડોલી મોટાનો 63 વર્ષીય વૃદ્ધ અને માંડવીનો 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં મોતને ભેટયો હતો. આ ઉપરાંત નવસારીમાં 1 અને વલસાડમાં વધુ 2 દર્દીનું કોરોનામાં મોત થયું હતું.
કોરોનાના વધુ 162 કેસ સાથે રવિવારે શહેરમાં કોરોનાનો આંકડો 15 હજારને પાર કરી ગયો હતો. શહેરમાં કોરોનાના નવા 162 કેસ સાથે કુલ આંકડો 15,096 અને વધુ 3 દર્દીનાં મોત સાથે મરણાંક 596 થયો છે. જ્યારે જિલ્લામાં નવા 82 કેસ સાથે કુલ આંકડો 4098 અને વધુ 2 દર્દીનાં મોત સાથે મરણાંક 182 ઉપર પહોંચ્યો છે. આમ, શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસ 19,194 અને મૃત્યઆંક 778 થયો છે.