આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં હવે કોરોનાગ્રસ્ત દર્દીઓના આંકડા સાંજે જણાવવામાં આવશે. હવેથી 24 કલાકમાં એક જ વાર કોરોના પોઝિટીવ દર્દીઓની માહિતી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટાભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના રોજના 3000 ટેસ્ટ કરીશું. 2500 રેન્ડમ લઈશુ અને 500 ટેસ્ટ જે એડમિટેડ છે તેમને 2 વખત ચેક કરવા પડતા હોય છે એટલે તેમને ટેસ્ટ કરીશું. મૃત્યુ એવા લોકોના જ થાય છે જેમને પહેલેથી કોઈ બિમારી હોય.
ગાંધીનગર ખાતે આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા આંકડા આજથી દિવસમાં એક જ વખત સાંજે 6 વાગ્યે આપવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.
રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ જણાવ્યું છે.