ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનીૃ ૨૮મી સપ્ટેમ્બરથી પૂરક પરીક્ષા લેવાશે.આ વર્ષે પ્રથમવાર રેકોર્ડબ્રેક ૧.૨૪ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાતી મુખ્ય પરીક્ષા બાદ જુલાઈમાં ધો.૧૦ માટે બે વિષય અને ધો.૧૨ સાયન્સ માટે પણ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પુરક પરીક્ષા લેવાય છે પરંતુ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસને તક અપાતી હતી.પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે કોરોના સહિતના કારણોને ધ્યાને રાખતા અને વર્ષોથી થતી રજૂઆતોને પણ ધ્યાને લઈને બે વિષયમાં નાપાસ માટે પુરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ૧૨ સા.પ્ર.ની પુરક પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ધો.૧૦ અને ૧૨ સાયન્સની પુરક પરીક્ષા સાથે જ કરાવી દેવાયુ હતુ અને ૨૫મી ઓગસ્ટથી તમામ પુરક પરીક્ષા સાથે શરૃ થનાર હતી પરંતુ સરકારે બે વિષયનો નિર્ણય લેતા સા.પ્ર.ની પુરક પરીક્ષા મોકુફ કરી દેવાઈ હતી અને ફરીથી પરીક્ષા ફોર્મ -રજિસ્ટ્રેશનની તક આપવામાં આવી હતી.
બે વિષયમાં નાપાસને તક મળતા ચાલુ વર્ષે એક અને બે વિષયમાં નાપાસ થનાર રેગ્યુલર વિદ્યાર્થીઓ તેમજ રીપિટર વિદ્યાર્થીઓ તથા ખાનગી વિદ્યાર્થીઓ મળીને ૧,૪૨,૩૭૦ને પુરક પરીક્ષા આપવાનો લાભ મળી શક્યો છે.જો કે રજિસ્ટ્રેશન ૧.૨૪ લાખથી વધુ વિદ્યાર્થીએ કર્યુ છે.મહત્વનું છે કે ધો.૧૦-૧૨ની બોર્ડ દ્વારા લેવાતી પુરક પરીક્ષાના ઈતિહાસમાં પ્રથમવાર ધો.૧૨ સા.પ્ર.માં રેકોર્ડબ્રેક ૧.૨૪ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા આજે પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જે મુજબ ૨૮મી સપ્ટેમ્બરથી પરીક્ષા શરૃ થશે.સવારે ૧૦ઃ૩૦થી૧ઃ૪૫ અને બપોરે ૩થી૬ઃ૧૫ એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે.